
T20 વર્લ્ડ કપ 2026માં યુવા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે નબળી કડી સાબિત થયો છે. આ વર્લ્ડ કપમાં તેને અત્યાર સુધી 3 મેચમાં રમવાની તક મળી છે પરંતુ એક પણ મેચમાં તે પોતાનું ખાતું ખોલી શક્યો નથી.

ત્રણેય મેચમાં તે શૂન્ય (ડક) પર આઉટ થયો છે, જે ટીમ માટે એક ચિંતાનો સવાલ છે. અભિષેકના આ ખરાબ પ્રદર્શનને જોયા બાદ ઘણા લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, શું અભિષેકને પ્લેઈંગ-XI માંથી પડતો મૂકવામાં આવશે કે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં તેને વધુ એક તક મળશે? જો કે, આ સવાલનો જવાબ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કલે સ્પષ્ટ કર્યું હતું કે, T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અભિષેક શર્માના ખરાબ પ્રદર્શન અંગે ટીમમાં કોઈ ચર્ચા થઈ નથી. મોર્કલે કહ્યું કે, અભિષેકને માત્ર એક સારી શરૂઆતની જરૂર છે, ત્યારબાદ તે લય પકડી લેશે.

નોંધનીય છે કે, જ્યારે મોર્કલને ટીમમાં અભિષેકના પ્રદર્શન અંગેની કોઈ ચર્ચા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે આ ચર્ચાને સાવ નકારી કાઢી હતી. તેણે કહ્યું કે, "આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. અભિષેક એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ટીમનું નસીબ સારું રહ્યું છે કે, ખેલાડીઓએ જવાબદારી સ્વીકારી છે અને રન બનાવ્યા છે."

મોર્ને મોર્કલે આ દરમિયાન સ્વીકાર્યું હતું કે, ટૂર્નામેન્ટના મહત્વના તબક્કે પહોંચેલી ટીમ ઇન્ડિયાને અભિષેક પાસેથી એક મોટી ઇનિંગની આશા છે. તેણે કહ્યું કે, "ટીમ વર્લ્ડ કપના ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેજ પર જઈ રહી છે અને અમને અભિષેકની પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ચાહકો અભિષેકની તોફાની બેટિંગ જોવાનું પસંદ કરે છે. એવામાં મોર્કલને પૂરો વિશ્વાસ છે કે, તે બોલને સારી રીતે ટાઇમ કરી રહ્યો છે. બસ એક શરૂઆતની વાત છે અને ત્યારબાદ અભિષેક રફ્તાર પકડી લેશે."

મોર્કલના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, અભિષેકને આ વર્લ્ડ કપમાં આગળ પણ તક મળતી રહેશે. ભલે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અભિષેક શર્માનું બેટ ચાલ્યું ન હોય પરંતુ ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે.