
ઇઝરાયેલે 1974ના યુદ્ધવિરામ કરારને રદ કરીને ગોલાન હાઇટ્સની આસપાસ એક 'સુરક્ષા ઝોન' બનાવવાની યોજના બનાવી છે. આ વિસ્તાર આતંકવાદીઓ અને હથિયારોથી મુક્ત રાખવા માંગે છે, જેથી ઈઝરાયેલની સરહદો પર કોઈ નવો ખતરો ના રહે.

સીરિયા પર બારીકાઈથી નજર રાખનારા નિષ્ણાતો માને છે કે, સીરિયાનું ભવિષ્ય એક એકીકૃત દેશ તરીકે નથી. એવો અંદાજ છે કે સીરિયાના ટુકડા થઈ જશે. ઇઝરાયેલને કોઇપણ પ્રકારના પડકારનો સામનો ના કરવો પડે તે માટે ઇઝરાયેલ કુર્દ અને દ્રુઝ જેવા સ્થિર વંશીય જૂથો સાથે સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેઓ ભવિષ્યમાં તેના સાથી બની શકે છે.

ઈઝરાયેલે સીરિયાના વ્યૂહાત્મક હથિયારોના ભંડાર, રાસાયણિક શસ્ત્રો, મિસાઈલો, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. તેનો હેતુ આ ખતરનાક હથિયારોને આતંકવાદી જૂથો સુધી પહોંચતા અટકાવવાનો છે.

સીરિયામાં અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો સક્રિય છે. ઇઝરાયેલ જાણે છે કે આ જૂથો સુધી હથિયારો પહોંચવાનો અર્થ તેની સુરક્ષા માટે મોટો ખતરો છે.

ઈઝરાયેલને ડર છે કે સીરિયાની નબળી સ્થિતિ ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવા તરફ ધકેલી શકે છે. આ ધમકી ઇઝરાયેલની લાંબા ગાળાની વ્યૂહાત્મક ચિંતાઓનો એક ભાગ છે. ઈઝરાયેલ સીરિયામાં દરેક વ્યૂહાત્મક ખતરાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ નીતિ સીરિયાના નવા શાસકો સાથે સંબંધો બાંધવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ( તસવીર સૌજન્ય-PTI )
Published On - 3:23 pm, Wed, 11 December 24