
જો તમારી પાસે ₹5 લાખની બચત છે અને તમે તેને યોગ્ય જગ્યાએ રોકીને સારું વળતર મેળવવા માંગો છો, તો આ માહિતી તમારા માટે છે. રોકાણનો નિર્ણય ઉતાવળમાં લેવાને બદલે તમારી જરૂરિયાત અને રિસ્ક લેવાની ક્ષમતા મુજબ લેવો જોઈએ. ₹5 લાખનું યોગ્ય પ્લાનિંગ કરીને તમે તમારા પૈસા સુરક્ષિત રાખવાની સાથે મોંઘવારી સામે રક્ષણ અને ઉત્તમ નફો પણ મેળવી શકો છો.

જો તમે બજારની વધઘટથી દૂર રહેવા માંગો છો અને કોઈ પણ જાતના જોખમ વગર ગેરંટીડ રિટર્ન ઈચ્છો છો, તો ₹2.5 લાખથી ₹3 લાખ સુધીની રકમને બેંક એફડી (FD) અથવા પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રાખો. અહીં તમને 6.5% થી 7.5% સુધીનું ગેરંટીડ વ્યાજ મળશે. ₹1.5 લાખથી ₹2 લાખની રકમ લિક્વિડ અથવા શોર્ટ-ડ્યુરેશન ડેટ ફંડ્સમાં રોકો. આમાં બેંક FD કરતાં થોડું ચડિયાતું રિટર્ન અને જરૂર પડે ત્યારે તરત જ પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. આનો મુખ્ય ફાયદો એ છે કે, મૂડી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને ઈમરજન્સીમાં સરળતાથી પૈસા ઉપાડી શકાશે.

જો તમે 5 થી 7 વર્ષના દ્રષ્ટિકોણથી રોકાણ કરી રહ્યા છો અને થોડું રિસ્ક લઈને વધુ સારું રિટર્ન મેળવવા માંગો છો, તો ₹2.5 લાખ સુધીની રકમ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકો. આ ફંડ્સ તમારા પૈસાને શેરબજાર અને ફિક્સ્ડ ઇન્કમ (ડેટ) બંનેમાં રોકે છે, જેનાથી રિસ્ક બેલેન્સ રહે છે. ₹1.5 લાખને કોઈ લિક્વિડ ફંડમાં રાખીને Nifty 50 ઈન્ડેક્સ ફંડમાં STP દ્વારા દર મહિને ધીમે-ધીમે ટ્રાન્સફર કરો.

₹1 લાખ એટલે કે કુલ ફંડના 20% સોનામાં (Gold) રોકાણ કરો. આ બજારની મંદીના સમયે તમારા પોર્ટફોલિયોને રક્ષણ આપે છે. જો તમારી ઉંમર ઓછી છે, તમે શેરબજારનું રિસ્ક ઉઠાવી શકો છો અને આગામી 7 થી 10 વર્ષમાં ₹5 લાખથી મોટું ફંડ બનાવવા માંગો છો, તો ₹3.5 લાખથી ₹4 લાખની રકમને લાર્જ કેપ, ફ્લેક્સી કેપ અને સ્મોલ/મિડ કેપ ફંડ્સમાં વહેંચીને રોકો.

પૂરેપૂરી રકમ એકસાથે શેરબજારમાં ન રોકો. તેને લિક્વિડ ફંડમાં જમા કરો અને સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) દ્વારા આગામી 6 થી 12 મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં ધીમે-ધીમે ટ્રાન્સફર કરો. જો તમને શેરબજારની સમજ છે, તો ₹1 લાખ યુએસ માર્કેટના S&P 500 ETF અથવા ભારતના ટોપ 10 બ્લુચિપ શેરમાં રોકાણ કરી શકો છો.

રોકાણ શરૂ કરતા પહેલા બસ આ 3 વાતનું ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલા તો, ઈમરજન્સી ફંડ અલગ રાખો. તમારા ₹5 લાખમાંથી ઓછામાં ઓછા 3 થી 6 મહિનાના જરૂરી ખર્ચના પૈસા બિલકુલ અલગ રાખો અને બાકીના પૈસા જ લાંબાગાળા માટે રોકો.

આ સિવાય એકસાથે પૂરા પૈસા ન રોકો. જો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો, તો STP અથવા SIP નો રસ્તો પસંદ કરો જેથી બજારના ઘટાડાનો ફાયદો મળી શકે. વધુમાં ટેક્સ નિયમો જાણવા જરૂરી છે. FD ના વ્યાજ પર તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે, જ્યારે ઈક્વિટીમાં 1 વર્ષથી વધુ સમય સુધી રહેવા પર ₹1.25 લાખથી વધુના નફા પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ લાગે છે.
Published On - 6:46 pm, Fri, 31 July 26