
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ એટલે કે UIDAI એ આધાર કાર્ડ બનાવવા અને તેમાં સુધારા કરવા માટેની પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. નવી વ્યવસ્થા હેઠળ હવે ઓળખ, સરનામું, સંબંધ અને જન્મ તારીખના પુરાવા તરીકે પહેલા કરતા વધુ દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડ સંબંધિત કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.

કયા દસ્તાવેજોની યાદીમાં થયો વધારો?: નવા નિયમો મુજબ હવે દસ્તાવેજોના ફિઝિકલ કોપીની સાથે ઇલેક્ટ્રોનિક વર્ઝન પણ સ્વીકારવામાં આવશે. આમાં ઈ-પાન કાર્ડ, ઈ-વોટર આઈડી અને ઈ-રેશન કાર્ડનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે વપરાતા પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને બેંક પાસબુક ઉપરાંત હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના ઓળખ પ્રમાણપત્રોને પણ ઔપચારિક માન્યતા મળી છે.

બાળકો અને વાલીઓ માટે રાહત: UIDAI એ બાળકોના આધાર એનરોલમેન્ટ માટેના નિયમો વધુ સ્પષ્ટ કર્યા છે. 5 વર્ષથી નાના અને 5 થી 18 વર્ષ સુધીના સગીરો માટે દસ્તાવેજોની નવી શ્રેણી નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને કાયદેસરના વાલીઓ (Legal Guardians) દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોને હવે વધુ પ્રાધાન્ય મળશે. આ ઉપરાંત ચાઈલ્ડ કેર સંસ્થાઓમાં રહેતા બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે.

વિદેશી નાગરિકો અને OCI કાર્ડ ધારકો માટે સ્પષ્ટતા: વિદેશમાં રહેતા ભારતીયો (OCI), નેપાળ અને ભૂતાનના નાગરિકો તેમજ અન્ય વિદેશી નિવાસીઓ માટે પણ દસ્તાવેજોની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવી છે. હવે વિદેશી પાસપોર્ટ, વિઝા દસ્તાવેજો અને રેસિડેન્શિયલ પરમિટ જેવા દસ્તાવેજોને UIDAI ની યાદીમાં સ્પષ્ટપણે સામેલ કરવામાં આવ્યા છે.

શા માટે આ ફેરફારો મહત્વના છે?: આ નવા નિયમોથી સામાન્ય જનતાને દસ્તાવેજોના અભાવે પડતી મુશ્કેલીઓ ઓછી થશે. ખાસ કરીને જે લોકો પાસે પરંપરાગત ઓળખ પત્રો નથી, તેઓ હવે અન્ય માન્ય ડિજિટલ કે સરકારી દસ્તાવેજો દ્વારા પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે.