
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને આવકવેરા વિભાગ દ્વારા આકારણી વર્ષ (Assessment Year) 2023-24 માટેની તપાસ બાદ ₹6,338 કરોડ અથવા ₹63,37,52,52,550 ની ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે. આ રકમમાં વ્યાજનો પણ સમાવેશ થાય છે. બેંકનું કહેવું છે કે, આવકવેરા વિભાગના એસેસમેન્ટ યુનિટે (તપાસ એકમ) વિવિધ કારણોના આધારે કેટલાક દાવાઓને અસ્વીકાર કર્યા છે, જેના કારણે આ ડિમાન્ડ ઊભી થઈ છે.

એક એક્સચેન્જ ફાઇલિંગમાં SBI એ જણાવ્યું છે કે, આ પ્રકારના સમાન મામલાઓ કોર્ટમાં પહેલાથી જ ચાલી રહ્યા છે. ટૂંકમાં આ દર્શાવે છે કે, હાલની ડિમાન્ડ કોઈ અલગ બાબત નથી. આ રકમ 'મટિરિયલિટી થ્રેશોલ્ડ' (મહત્વપૂર્ણ મર્યાદા) કરતા વધુ હોવાથી, બેંકે આ ઘટનાક્રમની જાણકારી તેના સ્ટેકહોલ્ડર્સને આપી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, 19 માર્ચ, 2026 ની તારીખનો આ આદેશ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 143(3), 144C(3) અને 144B હેઠળ જારી કરવામાં આવ્યો છે.

SBI એ સ્પષ્ટ કર્યું છે કે, આ આદેશની તેના કામકાજ કે બીજી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડશે નહીં. બેંકે એમ પણ કહ્યું છે કે, તે યોગ્ય કાયદાકીય પગલાં લેશે, જેમાં નિર્ધારિત સમયમર્યાદામાં સંબંધિત એપેલેટ ઓથોરિટી પાસે અપીલ દાખલ કરવાનો પણ સમાવેશ થાય છે.

ભારતીય સ્ટેટ બેંકનો શેર શુક્રવાર, 20 જાન્યુઆરીએ BSE પર 1058.40 રૂપિયા પર બંધ થયો હતો. બેંકની માર્કેટ કેપ 9.76 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ શેર એક વર્ષમાં 40 ટકા અને 6 મહિનામાં 22 ટકાથી વધુ મજબૂત થયો છે. ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં બેંકમાં સરકારનો હિસ્સો 55.50 ટકા હતો. SBI ની ગણતરી દેશની ટોપ 10 સૌથી મૂલ્યવાન (Most Valued) કંપનીઓમાં થાય છે.

ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળામાં ભારતીય સ્ટેટ બેંકનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 24.48 ટકા વધીને 21,028.15 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉ આ નફો 16,891.44 કરોડ રૂપિયા હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 9 ટકા વધીને 45,190 કરોડ રૂપિયા રહી છે, જે ડિસેમ્બર 2024 ના ત્રિમાસિક ગાળામાં 41,445 કરોડ રૂપિયા હતી. ચોખ્ખો વ્યાજ માર્જિન (NIM) 3.12 ટકા રહ્યો છે, જે એક વર્ષ અગાઉ 3.15 ટકા હતો.