
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સીરીઝનો પહેલો મુકાબલો હરારે ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ખેલાડીઓ માટે એક સ્પષ્ટ અને દમદાર સંદેશ આપ્યો છે. અય્યરે પોતાની ટીમના ખેલાડીઓને મનમાંથી નિષ્ફળ જવાનો ડર કાઢી ફેંકીને મેદાન પર મુક્તપણે રમત દર્શાવવાનો આદેશ આપ્યો છે.

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર T20 સીરીઝમાં થયેલી હાર બાદ ઝિમ્બાબ્વે સામેની આ સીરીઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. હરારે ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડીના મનમાં નિષ્ફળ જવાનો ડર ન હોવો જોઈએ. જો ખેલાડીઓ હારી જવાના ડરથી રમશે તો તેઓ માત્ર પોતાની રમતને બચાવવાનો પ્રયાસ કરશે, જે ટીમ માટે યોગ્ય નથી. પરંતુ જો એ ડરને મનમાંથી નીકાળી દેવામાં આવે તો જ દરેક ખેલાડી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે છે.

અય્યરે વધુમાં ઉમેર્યું હતું કે, બહાર લોકો શું કહી રહ્યા છે કે ડ્રેસિંગ રૂમ બહાર શું ચર્ચાઓ ચાલી રહી છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમના માટે સમગ્ર ટીમ એક થઈને શ્રેષ્ઠ ક્રિકેટ રમે તે જ સૌથી મહત્વપૂર્ણ છે અને આ જ વિચાર સાથે ટીમ સારો દેખાવ કરી શકે છે.

નોંધનીય છે કે, શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતે અત્યાર સુધીમાં 7 T20 મેચ રમી છે, પરંતુ તેમાંથી એક પણ મેચમાં ભારતને જીત મળી નથી. આયર્લેન્ડ સામેની સીરીઝમાં ભારતનો ક્લીન સ્વીપ થયો હતો, જ્યારે ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની સીરીઝમાં ભારતે 0-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, ઝિમ્બાબ્વેના મેદાન પર ભારતનો ઇતિહાસ ખૂબ જ સારો રહ્યો છે. ભારતે આ પહેલાં ઝિમ્બાબ્વેના ચારેય પ્રવાસોમાં T20 સીરીઝ જીતી છે. હવે 5મા પ્રવાસમાં પણ ભારતીય ટીમ પોતાની વિજયી કૂચ ચાલુ રાખીને અય્યરની કપ્તાનીમાં પ્રથમ જીત નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે.