
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર કરતા માર્કેટ રેગ્યુલેટર Securities and Exchange Board of India (SEBI) એ સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ (Solution Oriented Scheme) કેટેગરીને બંધ કરવાની જાહેરાત કરી છે.

આ નિર્ણયની સીધી અસર તે 62.61 લાખ રોકાણકારો પર પડશે, જેમના નાણાં આ સ્કીમ્સમાં રોકાયેલા છે. જાન્યુઆરી 2026 સુધીમાં આ કેટેગરીમાં કુલ 41 સ્કીમ્સ એક્ટિવ હતી અને હવે SEBI દ્વારા તેમાં નવા રોકાણ પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે.

SEBI એ ગુરુવારે મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે એક મહત્વપૂર્ણ સર્કુલર બહાર પાડ્યું છે, જે મુજબ હવે તમામ મુખ્ય ફંડ્સને 5 મોટી કેટેગરી (ઈક્વિટી, ડેટ, હાઇબ્રિડ, લાઈફ સાયકલ અને બીજી સ્કીમ્સ) માં વહેંચવામાં આવશે. આ પ્રોસેસના ભાગરૂપે જ સોલ્યુશન ઓરિએન્ટેડ કેટેગરીને નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ ખરેખર લક્ષ્ય-આધારિત રોકાણ (Goal-based investment) માટે બનાવવામાં આવી હતી. આમાં બે પ્રકારની સ્કીમ્સ (રિટાયરમેન્ટ ફંડ અને ચિલ્ડ્રન ફંડ) મુખ્ય હતી. આનો હેતુ એ હતો કે, રોકાણકારો પોતાના નિવૃત્તિ (Retirement) અથવા બાળકોના શિક્ષણ/ભવિષ્ય જેવા લક્ષ્યો માટે લાંબાગાળા સુધી રોકાણ કરી શકે.

આ સ્કીમ્સમાં અવારનવાર લોક-ઈન પીરિયડ (Lock-in period) પણ રાખવામાં આવતો હતો, જેથી રોકાણકારો અધવચ્ચેથી પૈસા ન ઉપાડે અને તેમનું નિર્ધારિત લક્ષ્ય પૂર્ણ થઈ શકે.

Association of Mutual Funds in India (AMFI) ના જાન્યુઆરી 2026 ના ડેટા મુજબ, આ કેટેગરીમાં 29 રિટાયરમેન્ટ ફંડ અને 12 ચિલ્ડ્રન ફંડ જોડાયેલા હતા. કુલ મળીને 41 સ્કીમ્સમાં ₹57,274 કરોડનું એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) હતું. આમાંથી રિટાયરમેન્ટ ફંડ્સનું AUM ₹32,044 કરોડ અને ચિલ્ડ્રન ફંડ્સનું AUM ₹25,230 કરોડ હતું. ટૂંકમાં, આ કોઈ નાની કેટેગરી નહોતી પરંતુ લાખો રોકાણકારોનો ભરોસો આની સાથે જોડાયેલો હતો.

SEBI નો મુખ્ય ઉદ્દેશ્ય મ્યુચ્યુઅલ ફંડના માળખાને વધુ સરળ અને 'ટ્રૂ ટુ લેબલ' (True to Label) બનાવવાનો છે. રેગ્યુલેટર ઈચ્છે છે કે, દરેક સ્કીમ તેના નામ અને કેટેગરી મુજબ સ્પષ્ટપણે ઓળખાય. સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સમાં ઘણીવાર એસેટ એલોકેશન અને રિસ્ક પ્રોફાઈલ બીજી સ્કીમ્સ સાથે મળતી આવતી હતી, જેના કારણે ઓવરલેપ અને મૂંઝવણ (Confusion) ઊભી થતી હતી.

હવે આની જગ્યાએ લાઈફ સાયકલ ફંડ (Life Cycle Fund) જેવી નવી કેટેગરી લાવવામાં આવી રહી છે, જ્યાં રોકાણનો માર્ગ પહેલેથી જ નક્કી હશે અને સમય જતાં ઇક્વિટી-ડેટનું સંતુલન આપમેળે બદલાશે. સરળ રીતે કહીએ તો, લક્ષ્ય આધારિત રોકાણ તો રહેશે જ પરંતુ નિયમો વધુ સ્પષ્ટ હશે.

એવામાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે, જે 62.61 લાખ લોકોના પૈસા આ 41 સ્કીમ્સમાં રોકાયેલા છે, તેમનું શું થશે? SEBI ના સર્કુલર મુજબ, વર્તમાન સ્કીમ્સમાં નવું રોકાણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે પરંતુ અગાઉથી રોકાયેલા પૈસા સુરક્ષિત રહેશે. આ સ્કીમ્સને એવી કોઈ બીજી સ્કીમમાં મર્જ (ભેળવી) કરવામાં આવશે, જેનું એસેટ એલોકેશન અને રિસ્ક પ્રોફાઈલ લગભગ તેના જેવું જ હોય.

આ મર્જર દેખરેખ વગર નહીં થાય. આ માટે SEBI ની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આમ જોવા જઈએ તો, રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને જ સ્કીમ બદલવામાં આવશે. જો કોઈ સ્કીમમાં લોક-ઈન પીરિયડ (Lock-in period) હોય, તો મર્જરની શરતો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તે નિયમ પણ લાગુ રહી શકે છે.

સરળ ભાષામાં સમજીએ તો, રોકાણકારોના પૈસા ન તો ડૂબશે, ન તો તેમને જબરદસ્તી પાછા આપી દેવામાં આવશે. તે માત્ર એક નવી, સમાન પ્રકારની (nature) સ્કીમમાં ટ્રાન્સફર થઈ જશે. રોકાણકારોને AMC (Asset Management Company) તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવશે, જેથી તેઓ ઈચ્છે તો પોતાની આગળની રણનીતિ નક્કી કરી શકે.