
વડાપ્રધાન મોદીએ આ તકે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને છત મળે એ માટે મક્કમ છે. જેના માટે કેન્દ્ર સરકારે 7 કરોડ આવાસ નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જેમાંથી ગત 10 વર્ષ દરમિયાન ચાર કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે.

કેન્દ્ર સરકારના પ્રથમ 100 દિવસમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી, 8 હાઇસ્પીડ રોડ કોરિડોર, ૧૫થી વધુ સેમિ હાઇસ્પીડ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લૉન્ચ થઈ ચૂકી છે. તદુપરાંત, હાઈપરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે એક ટ્રિલિયન રૂપિયાનું રિસર્ચ ફંડ ફાળવવામાં આવ્યું છે તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે ઑફશોર વિન્ડ માટેની યોજના અંતર્ગત રૂ. 7000 કરોડનો ખર્ચ થશે. જ્યારે 31 હજાર મેગાવૉટ હાઇડ્રોપાવર જનરેશન માટે રૂ. 12000 કરોડથી વધુનો ખર્ચ થશે.

વડાપ્રધાનશ્રીએ ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે. ગુજરાતે જ દેશમાં સૌ પ્રથમ સોલાર પાવર પોલિસી બનાવવા અને ક્લાયમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે. આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે, જેમણે વર્ષો પહેલાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટયુક્ત જીવનનું ઉદાહરણ આપી, સમગ્ર વિશ્વનું ધ્યાન પર્યાવરણ રક્ષા તરફ દોર્યું હતું, જ્યારે દુનિયામાં કોઈ ક્લાયમેટ ચેન્જની ચર્ચા પણ નહોતું કરતું.
Published On - 3:21 pm, Mon, 16 September 24