
કેન્દ્રીય બજેટ 2026માં સરકારે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ફાળવણીમાં મોટો વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ મુજબ, નવીનીકરણીય ઉર્જા માટે કુલ ફાળવણી 30 ટકા વધારીને ₹32,914.7 કરોડ કરવામાં આવી છે. આ ફાળવણી 2025-26 માટેના સુધારેલા અંદાજ ₹25,301.22 કરોડની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

સરકારના આ પગલાથી ભારતના ઉર્જા સંક્રમણને વધુ વેગ મળશે તેમજ સ્વચ્છ ઉર્જા, સૌર શક્તિ, ગ્રીડ એકીકરણ અને ઘરેલુ ઉત્પાદન પર સરકારનું ધ્યાન વધુ સ્પષ્ટ થાય છે. ખાસ કરીને છત પર સોલાર પેનલ સ્થાપનને પ્રોત્સાહન આપતી પીએમ સૂર્ય ઘર યોજના આ બજેટમાં કેન્દ્રસ્થાને રહી છે.

નાણામંત્રીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે ₹22,000 કરોડ ફાળવ્યા છે. આ રકમ 2025-26 માટેના સુધારેલા અંદાજ ₹17,000 કરોડ તથા અગાઉના બજેટ અંદાજ ₹20,000 કરોડ કરતાં વધુ છે. નોંધનીય છે કે 2024-25 દરમિયાન આ યોજનામાં વાસ્તવિક ખર્ચ ₹7,818 કરોડ રહ્યો હતો.

કેન્દ્રીય બજેટ 2025-26 માં સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે ₹20,000 કરોડ ફાળવ્યા હતા. આ યોજનાનો હેતુ માર્ચ 2026 સુધીમાં 40 લાખ ઘરોને આવરી લેવાનો છે, જ્યારે 2027 સુધીમાં આ આંકડો વધારીને 1 કરોડ ઘરો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના સૌર ઉર્જાના વ્યાપક ઉપયોગ દ્વારા દેશના ઉર્જા ક્ષેત્રમાં મોટો પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરીને તેમને મફત વીજળી ઉપલબ્ધ કરાવવાનો છે. સરકાર સ્થાપન ખર્ચ પર 40 ટકા સુધીની સબસિડી પૂરી પાડે છે, જેથી સૌર ઉર્જા સામાન્ય નાગરિકો માટે વધુ સસ્તી અને સરળ બને.

સરકારનો દાવો છે કે આ યોજના દ્વારા દેશભરના અંદાજે 1 કરોડ પરિવારોને સીધો લાભ મળશે. ઘરો પોતે વીજળી ઉત્પન્ન કરી શકશે, જેના કારણે વીજળીના બિલમાં ઘટાડો થશે અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે. સાથે જ, સરકારને દર વર્ષે અંદાજે ₹75,000 કરોડ જેટલી વીજળી ખર્ચની બચત થવાની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.