
ગુજરાતના ગાંધીનગર સ્થિત વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના 10 સભ્યોની નિષ્ણાત ટીમે નેપાળમાં જળપ્રલયના કારણે મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટેની કામગીરી શરૂ કરી છે. ટીમ નેપાળ પહોંચી સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીને મૃતકોની ઓળખ કરવામાં મદદ કરી રહી છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત માર્ગદર્શન હેઠળ NFSUની આ ટીમ કામગીરી કરી રહી છે. નેપાળ-તિબેટ સરહદ વિસ્તારમાં આવેલા ભયાનક પૂરના કારણે ભારે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં અનેક મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બનતા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન DNA ફોરેન્સિક્સના હેડ ડૉ. ભાર્ગવ પટેલના નેતૃત્વમાં 10 સભ્યોની ટીમ શનિવારે સાંજે નેપાળ માટે રવાના થઈ હતી. ટીમ હવે સ્થાનિક તંત્ર સાથે મળીને અજાણ્યા મૃતદેહોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓળખ કરવાની પ્રક્રિયામાં સહયોગ આપી રહી છે.

આ કામગીરીમાં ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન (Disaster Victim Identification - DVI) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. DNA સહિતની ફોરેન્સિક તપાસ દ્વારા ગુમ થયેલા લોકોના પરિવારજનોને તેમના સ્વજનોની ઓળખ કરવામાં મદદ મળી શકે છે.

NFSU, ગાંધીનગર સ્થિત સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન DNA ફોરેન્સિક્સ ખાતે આવી કામગીરી માટે અત્યાધુનિક સાધનો અને પૂરતી સંખ્યામાં જરૂરી કીટ ઉપલબ્ધ છે. નેપાળમાં સર્જાયેલી આ ગંભીર કુદરતી આફત બાદ મૃતકોની ઓળખ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઈ શકે તે માટે NFSUની નિષ્ણાત ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.