
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં નવી સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ નવી દૈનિક ટ્રેન સેવા શરૂ થતાં ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાન વચ્ચે સીધી અને વધુ સુવિધાજનક રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.

નવી ટ્રેનનો સૌથી મોટો લાભ વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ નિયમિત મુસાફરી કરતા લોકો માટે રહેશે. અમદાવાદ અને બીકાનેર વચ્ચેની મુસાફરી વધુ સરળ અને અનુકૂળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરના સમયમાં રેલવે મંત્રાલય દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં રેલવે નેટવર્ક મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. મે મહિનામાં અશ્વિની વૈષ્ણવે સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસને જૈસલમેર સુધી વિસ્તૃત કરી હતી. ઉપરાંત ભુજ-દિલ્હી એક્સપ્રેસને પણ નવા રૂટ પર શરૂ કરવામાં આવી હતી.

હાલમાં સાબરમતી અને બીકાનેર વચ્ચે અનેક ટ્રેનો દોડે છે, જે આશરે 727 કિલોમીટરનું અંતર કાપે છે. આ મુસાફરી સામાન્ય રીતે 12 થી 14 કલાકમાં પૂર્ણ થાય છે. માર્ગમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, જોધપુર અને નાગૌર જેવા મહત્વના સ્ટેશનો આવે છે.

નવી સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ શરૂ થતાં આ રૂટ પર મુસાફરોને વધુ વિકલ્પ મળશે અને કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. રેલવે વિભાગનું માનવું છે કે આ સેવા વેપાર, પ્રવાસન અને બંને રાજ્યો વચ્ચેના આર્થિક સંબંધોને પણ પ્રોત્સાહન આપશે.

ભારતીય રેલવે હાલમાં ગુજરાતમાં રેલવે માળખાકીય વિકાસ માટે મોટા પાયે રોકાણ કરી રહી છે. રાજ્યમાં અંદાજે 1.28 લાખ કરોડ રૂપિયાના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. વર્ષ 2014 પછી ગુજરાતમાં લગભગ 2,900 કિલોમીટર નવી રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે ચાલુ વર્ષે રાજ્યને રેલવે બજેટમાં 17,366 કરોડ રૂપિયાનું ફાળવણી કરવામાં આવ્યું છે.

નવી સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મુસાફરી વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.