
મુકેશ અંબાણીની કંપની Jio Financial Services હવે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. કંપની 2026 સુધીમાં જીવન અને સામાન્ય વીમા બંને સેગમેન્ટમાં પ્રવેશવાનો પ્લાન બનાવી રહી છે. હાલ કંપની જરૂરી નિયમનકારી મંજૂરીઓની રાહ જોઈ રહી છે, ત્યારબાદ આ નવા વ્યવસાયની સત્તાવાર શરૂઆત થશે.

છેલ્લા થોડા વર્ષોમાં Mukesh Ambani સતત નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યા છે. ટેલિકોમથી લઈને રિટેલ, FMCG અને નાણાકીય સેવાઓ સુધી તેઓએ પોતાના વ્યવસાયનો વ્યાપ વધાર્યો છે. હવે વીમા ક્ષેત્રમાં પ્રવેશ તેમની આગામી મોટી ચાલ તરીકે જોવામાં આવી રહી છે.

કંપનીના મેનેજમેન્ટ મુજબ, Jio Financial Services આ વર્ષે જ જીવન અને સામાન્ય વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. જોકે, હાલમાં કંપની અનસિક્યોર્ડ લોન અથવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે લોન માર્કેટમાં પ્રવેશ કરવાની કોઈ તાત્કાલિક યોજના ધરાવતી નથી.

કંપનીના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર Hitesh Sethiaએ જણાવ્યું હતું કે, “અમે 2026 સુધીમાં વીમા વ્યવસાય શરૂ કરવાની આશા રાખીએ છીએ, જે સંપૂર્ણપણે નિયમનકારી મંજૂરીઓ પર આધારિત રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કંપની આ ક્ષેત્રમાં વૈશ્વિક ભાગીદાર Allianz સાથે મળીને કામ કરશે. મહત્વનું છે કે JFS પહેલેથી જ પુનર્વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂકી છે અને હવે તે પોતાના વીમા વ્યવસાયને મજબૂત બનાવવા માટે ટીમ બિલ્ડિંગ અને ભરતી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જો Jio Financial Services વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે, તો તેને દેશની મોટી કંપનીઓ સાથે કઠોર સ્પર્ધાનો સામનો કરવો પડશે. આમાં Tata Group, Bajaj Finserv, Life Insurance Corporation of India, તેમજ SBI અને HDFC જેવી સ્થાપિત કંપનીઓનો સમાવેશ થાય છે.

વિશેષજ્ઞોના મતે, Jioની ટેક્નોલોજી અને ડિજિટલ સ્ટ્રેન્થને કારણે આ ક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. 2026 સુધીમાં કંપનીના આ પગલાં વીમા બજારમાં એક નવી સ્પર્ધાત્મક લહેર લાવી શકે છે.