
કાંકરિયા ખાતે આવેલા કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં 2190 જેટલા પ્રાણી-પક્ષીઓ તેમજ સરિસૃપો છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આ તમામ વન્યજીવો માટે ઝૂ એડવાઈઝર ડૉ. આર.કે. સાહુ અને ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શર્વ શાહના માર્ગદર્શન હેઠળ પાણીનો છંટકાવ, એર-કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નોક્ટરનલ ઝૂમાં ETHE સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના કારણે બહારના તાપમાન કરતા અંદરનું તાપમાન વન્યજીવોને અનુકૂળ રહે.

ગરમીના દિવસોમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ જીવોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે એનિમલ કીપર સ્ટાફ પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરાની નિયમિત સાફ સફાઈ, સમયયર ખાદ્ય-ખોરાકી, સારસંભાળ અને માવજત રાખે છે. વેટરનિટી ડોક્ટર દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈ પ્રાણીઓ-પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

પ્રાણીઓ અને પક્ષીઓ ડિહાઇડ્રેશનનો શિકાર ન બને અને તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે શેલ્ટર તથા પાંજરાઓ પર ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, પીવાના પાણીમાં જરૂર મુજબ ગ્લુકોઝ અથવા ORS પાઉડર ઉમેરવામાં આવે છે.

હાથી, વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ જીવોને ઠંડક મળે તે માટે પિંજરાઓ પાસે 38થી 40 જેટલા એર કૂલર પણ મૂકવામાં આવેલા છે. નોક્ટરનલ ઝૂમાં જીઓ-થર્મલ એરેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં વિદેશી પ્રાણી અને પક્ષીઓ પર વધુ પ્રભાવ પડે છે. જેથી, વેટરનરી ટીમ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ, રૂટિન મેડિકલ ચેકઅપ અને સમયસર રાઉન્ડ લેવામાં આવે છે.

તાજેતરમાં પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દીપડા અને કાળિયાર લાવવામાં આવેલા છે. ઉનાળાની સિઝનમાં અહીં આવતા મુલાકાતીઓ માટે સવારના 9 કલાકથી સાંજના 7 કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. કારણકે, ઉનાળુ વેકેશનમાં સામાન્ય રીતે અંદાજીત 3 લાખ લોકો મુલાકાત લેતા હોય છે.