
IPL 2026 લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયું. 10 ટીમોની સ્પર્ધામાં LSG છેલ્લાં સ્થાન પર રહી હતી, જેના કારણે હવે ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફારો કરવા અંગે વિચારણા કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને કેપ્ટન ઋષભ પંતનું ભવિષ્ય ચર્ચાનો વિષય બન્યું છે.

LSGના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ તાજેતરમાં આપેલા નિવેદન બાદ ઋષભ પંત ટીમ છોડે તેવી અટકળો વધુ તેજ બની છે. મૂડીએ સ્પષ્ટ કહ્યું હતું કે ટીમના નેતૃત્વ મુદ્દે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગંભીર ચર્ચા કરવાની જરૂર છે. તેમના આ નિવેદનને પંતની કેપ્ટનશીપ પર સવાલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઋષભ પંતને LSGએ IPL ઓક્શનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે તે સમયે સૌથી મોટી બોલી હતી. ટીમે તેમને બેટ્સમેન અને કેપ્ટન તરીકે બેવડી જવાબદારી સોંપી હતી. જોકે, છેલ્લા બે સીઝનમાં પંત બંને ભૂમિકામાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી.

IPL 2026માં પંતે 14 મેચની 13 ઇનિંગ્સમાં 312 રન બનાવ્યા હતા, જ્યારે તેમની આગેવાની હેઠળ ટીમ છેલ્લાં સ્થાન પર રહી હતી. તે પહેલાં IPL 2025માં પણ પંતનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. તેમણે 14 મેચમાં 269 રન બનાવ્યા હતા અને ટીમ સાતમા સ્થાને રહી હતી.

સતત બે સીઝનમાં નિષ્ફળતા બાદ હવે LSG મેનેજમેન્ટ ટીમમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં હોવાનું લાગી રહ્યું છે. ટોમ મૂડીએ પણ સ્વીકાર્યું હતું કે માત્ર નેતૃત્વ જ નહીં, પરંતુ ટીમના અન્ય વિભાગોમાં પણ ઘણી ખામીઓ સામે આવી છે, જેને આગામી સીઝન પહેલાં સુધારવાની જરૂર છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું ઋષભ પંત IPL 2027માં પણ LSGનો ભાગ રહેશે કે પછી ફ્રેન્ચાઇઝી નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય લેશે.