
ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ગુરુવાર, 12 માર્ચે બજાર ખુલતા જ દબાણ વધ્યું અને દિવસભર નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું. અંતે સેન્સેક્સ 829 પોઈન્ટ ઘટીને 76,034 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 227 પોઈન્ટ ઘટીને 23,639 પર બંધ રહ્યો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ લગભગ 1 ટકાનો ઘટાડો નોંધાયો, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોને મોટો ફટકો પડ્યો.

ભારે વેચવાલીના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ પણ નોંધપાત્ર રીતે ઘટ્યું. અંદાજે 450 લાખ કરોડ રૂપિયાથી ઘટીને તે લગભગ 440 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું. એટલે કે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી લગભગ 10 લાખ કરોડ રૂપિયા ઓછા થઈ ગયા. બજારમાં આટલો મોટો કડાકો કોઈ એક કારણસર નહીં, પરંતુ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે આવ્યો છે.

બજારમાં સૌથી મોટું દબાણ ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 9 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે ફરી પ્રતિ બેરલ $100 ની નજીક પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ જહાજો પર ઈરાનના હુમલાના સમાચાર પછી ઊર્જા પુરવઠા અંગે વૈશ્વિક ચિંતા વધી ગઈ છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ઇમરજન્સી ઓઇલ રિઝર્વ મુક્ત કરવાની જાહેરાત કરી હોવા છતાં કિંમતોમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ભારત તેની મોટાભાગની તેલ જરૂરિયાતો આયાત કરે છે, તેથી ક્રૂડ ઓઇલના વધતા ભાવથી દેશના ફુગાવા પર સીધી અસર પડી શકે છે.

આ સિવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા મોટા પાયે વેચવાલી પણ બજાર માટે ચિંતાનો વિષય બની છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં FIIએ લગભગ ₹39,100 કરોડથી વધુની રકમ બજારમાંથી ઉપાડી લીધી છે. સતત નવમા દિવસે વેચવાલી કરતાં તેમણે ગુરુવારે જ લગભગ ₹6,267 કરોડના શેર વેચ્યા. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) બજારને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં વિદેશી ભંડોળના બહાર જવાને કારણે બજાર પર દબાણ યથાવત છે.

વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતાએ પણ રોકાણકારોની ચિંતા વધારી છે. એશિયન બજારો થી લઈને અમેરિકન બજારો સુધી નકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઇલ સપ્લાયમાં વિક્ષેપ થવાની ભીતિ ફરી એકવાર વિશ્વભરમાં ફુગાવાના ભયને વધારી રહી છે. સાથે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપનાવવામાં આવેલી કડક ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય પણ ઉભો થયો છે.

અમેરિકાએ ભારત સહિત 16 દેશો સામે “અન્યાયી વેપાર” અંગે નવી તપાસ શરૂ કરી છે. વિશ્લેષકો માને છે કે આ પગલું ટ્રમ્પ પ્રશાસનની આક્રમક ટ્રેડ પોલિસી તરફ પાછા વળવાનો સંકેત આપી શકે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિકૂળ અસર પડી શકે છે, જેનો સીધો પ્રભાવ શેરબજારો પર જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કાચા તેલના વધતા ભાવના કારણે ભારતીય રૂપિયો પણ દબાણમાં આવી ગયો છે. ગુરુવારે રૂપિયા ડોલર સામે 30 પૈસા નબળો પડીને 92.34 ના સ્તરે પહોંચ્યો, જે તેના સર્વકાલીન નીચા સ્તર નજીક છે. નબળો રૂપિયો દેશના આયાત બિલમાં વધારો કરી શકે છે અને ચાલુ ખાતાની ખાધને વધુ વિસ્તૃત કરવાની શક્યતા ઊભી કરે છે.

બજારમાં વધતી ગભરાટની સ્થિતિ ‘ઇન્ડિયા VIX’ ઇન્ડેક્સમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી. જેને શેરબજારનું ‘ભય બેરોમીટર’ કહેવામાં આવે છે, તેમાં ગુરુવારે લગભગ 6 ટકાનો ઉછાળો નોંધાયો અને તે 22.32 ના સ્તરે પહોંચી ગયો. આથી સ્પષ્ટ થાય છે કે રોકાણકારોમાં અસ્થિરતા અને અનિશ્ચિતતાનો માહોલ વધ્યો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Published On - 5:16 pm, Thu, 12 March 26