
ભારતમાં સોનું માત્ર દાગીના પહેરવા માટે નહીં, પરંતુ ભવિષ્યની બચત અને રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) ના એક સુરક્ષિત વિકલ્પ તરીકે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ભારતીય પરિવારો પાસે જમા થયેલા સોનાનો અંદાજ એટલો મોટો છે કે તે વિશ્વના ટોપ 10 સેન્ટ્રલ બેંકોના કુલ ગોલ્ડ રિઝર્વ કરતા પણ વધુ દર્શાવવામાં આવે છે. દેશમાં મોટા ભાગનું સોનું ઘરો અને બેંક લોકરોમાં નિષ્ક્રિય પડ્યું રહે છે, જે મુખ્યત્વે દાગીના, સિક્કા અને સોનાના બિસ્કિટ (બાર્સ) ના રૂપમાં છે.

એસોચેમ (ASSOCHAM), વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને મોર્ગન સ્ટેનલીના વિવિધ અહેવાલો મુજબ, ભારતીય પરિવારો પાસે આશરે 5 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 415 લાખ કરોડનું સોનું હોઈ શકે છે. ભારતના ઘરોમાં રહેલો સોનાનો આ જથ્થો વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકોના કુલ અનામત ભંડોળ કરતાં પણ વધુ છે.

કયા રાજ્યમાં સૌથી વધુ સોનું ખરીદવામાં આવે છે? ભારતમાં સોનાની કુલ ખરીદીના મામલે દક્ષિણ ભારતના રાજ્યોનો હિસ્સો સૌથી મોટો માનવામાં આવે છે. દેશમાં સોનાના કુલ વપરાશની દ્રષ્ટિએ તામિલનાડુ રાજ્ય સૌથી આગળ છે. ત્યાર પછી આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકનો નંબર આવે છે. આ રાજ્યોમાં સોનાની માંગ વર્ષભર ખૂબ વધારે રહે છે અને અહીં લોકો પરંપરાગત રીતિ-રિવાજોના ભાગરૂપે પણ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરે છે.

કસ્ટમ ડ્યુટીથી સરકારને રૂ. 10,463 કરોડની આવક: સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, 13 મે થી 2 ઓગસ્ટ 2026 વચ્ચે સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત (ઇમ્પોર્ટ) પરથી સરકારને કુલ રૂ. 10,463 કરોડની કસ્ટમ ડ્યુટી રિન્યૂ તરીકે મળી છે. આ આવકમાં માત્ર સોના પરથી રૂ. 10,040 કરોડ, ચાંદી પરથી રૂ. 328 કરોડ અને પ્લેટિનમ પરથી રૂ. 95 કરોડ મેળવાયા છે.

વાસ્તવમાં ઈરાન-અમેરિકા સંઘર્ષ દરમિયાન 13 મે 2026 ના રોજ સોના અને ચાંદી પરની આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી) 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી હતી, જ્યારે પ્લેટિનમ પર ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરાઈ હતી. ડ્યુટી વધાર્યા બાદ ગેરકાયદે સોનાની તસ્કરી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 13 મે થી 30 જૂન વચ્ચે તપાસ એજન્સીઓએ 160.91 કિલો સોનું જપ્ત કરીને 116 લોકોની અટકાયત કરી હતી.

આરબીઆઈ (RBI) પાસે કેટલું સોનું છે? 29 મે 2026 સુધીના આંકડા મુજબ ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે વિદેશી મુદ્રા ભંડોળના ભાગરૂપે 880.52 ટન સોનું ઉપલબ્ધ હતું. સરકારે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે આરબીઆઈ દ્વારા સોનું વેચવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારે 2015 માં 'ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ' શરૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ લોકો ઘરમાં પડેલું સોનું બેંકમાં જમા કરાવીને તેના પર વ્યાજ મેળવી શકે તેવો હતો. આ યોજના પાછળનો ઉદ્દેશ્ય ઘરોમાં નિષ્ક્રિય પડેલા સોનાને દેશની અર્થવ્યવસ્થામાં લાવવાનો અને સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો હતો. જોકે, આમ જનતા તરફથી આ સરકારી યોજનામાં ખાસ ઉત્સાહ કે રસ જોવા મળ્યો નથી.