
અર્શદીપ સિંહ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો વર્લ્ડ કપનો મોટો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક છે. જો અર્શદીપ નામીબિયા સામેની મેચમાં 4 બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહેશે, તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે.

અર્શદીપ સિંહ અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ભારત માટે 15 મેચમાં 29 વિકેટ ઝડપી ચૂક્યો છે. ટૂર્નામેન્ટની વર્તમાન સીઝનમાં તેણે અમેરિકા (USA) સામે ભારતની પ્રથમ મેચમાં બે વિકેટ મેળવી હતી. આ રીતે તેના ખાતામાં 29 વિકેટ થઈ ગઈ છે. હવે અર્શદીપના નિશાના પર દિગ્ગજ ભારતીય સ્પિનર અશ્વિનનો રેકોર્ડ છે. જણાવી દઈએ કે, અશ્વિને T20 વર્લ્ડ કપમાં ભારત માટે 24 મેચમાં કુલ 32 વિકેટ ઝડપી હતી.

અર્શદીપના વર્તમાન ફોર્મને જોતા એવું માનવામાં આવે છે કે, તે 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સામે યોજાનારી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. જો અર્શદીપ ત્રણ કે તેથી વધુ વિકેટ લેશે, તો તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ બોલર બની જશે.

T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિચંદ્રન અશ્વિન સૌથી વધુ 32 વિકેટ લઈને મોખરે છે, જ્યારે અર્શદીપ સિંહે 29 વિકેટ મેળવી છે. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે 26 વિકેટ, હાર્દિક પંડ્યાએ 24 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ 22 વિકેટ લઈને ભારતીય ટીમની બોલિંગને મજબૂતી આપી છે. આ આંકડા દર્શાવે છે કે, T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે.

અર્શદીપ સિંહ T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેણે 77 મેચની 76 ઇનિંગ્સમાં 120 વિકેટ ઝડપી છે. 51 રન આપીને 5 વિકેટ એ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અર્શદીપ બાદ જસપ્રીત બુમરાહ 107 વિકેટ સાથે બીજા સ્થાને છે.

જણાવી દઈએ કે, ભારતીય ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. ટીમને એક દિવસનો બ્રેક મળવાની શક્યતા છે, ત્યારબાદ પ્રેક્ટિસ સેશન શરૂ થશે. નામીબિયા સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને તક મળશે કે નહીં? તે અંગેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.