
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે અક્ષય તૃતીયા પહેલા ઝવેરીઓ અને સ્ટોકિસ્ટોની નવી ખરીદીને કારણે ચાંદીના ભાવમાં 11,800 રૂપિયાની તેજી આવી, જે બાદ આ ધાતુની કિંમત 2.57 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. બીજીબાજુ સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો થયો અને તે 1.58 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું.

ઓલ ઇન્ડિયા સર્રાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીના ભાવમાં 11,800 રૂપિયા અથવા 4.81 ટકાનો ભારે વધારો થયો છે. સોમવારે બજાર બંધ થવાના સમયે ચાંદીનો ભાવ 2,45,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જે વધીને 2,57,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગયો. 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં પણ 3,000 રૂપિયા અથવા લગભગ 2 ટકાનો ઉછાળો આવ્યો અને તે 1,58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) પર પહોંચી ગયો.

પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનાનો ભાવ 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. મંગળવારે રજા હોવાને કારણે સ્થાનિક સર્રાફા બજાર બંધ હતું. વેપારીઓએ ભાવમાં આવેલી આ ભારે તેજીનું કારણ તહેવાર પહેલાની ખરીદી અને રિટેલ માંગમાં મજબૂતીની અપેક્ષાઓને ગણાવ્યું છે. અક્ષય તૃતીયા જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે સૌથી ખાસ સમય પૈકીનો એક બની રહ્યો છે, જેનું કારણ 'પરંપરા અને સોનાની હંમેશા જળવાઈ રહેતી કિંમત' બંને છે.

ખાસ વાત એ છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવ નીચા રહ્યા હતા. સ્પોટ ગોલ્ડ USD 45.88 અથવા લગભગ 1 ટકા ઘટીને USD 4,795.97 પ્રતિ ઔંસ પર આવી ગયું, જ્યારે ચાંદી 1.2 ટકા ઘટીને USD 78.61 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.

HDFC સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, બુધવારે સોનાની કિંમત USD 4,800 પ્રતિ ઔંસની આસપાસ રહી. આનું કારણ એ નવી આશા હતી કે, અમેરિકા અને ઈરાન પોતાના યુદ્ધને ખતમ કરવા માટે કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.
Published On - 8:25 pm, Wed, 15 April 26