
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સાસણની આ પ્રિ-ઈવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે.

ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દિપડો તો જોવા મળી રહ્યા છે, તેમાં ઉમેરો થતાં રતન મહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. તે સંદર્ભમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, વાઘનો ગુજરાતની ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે.

સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભ્યારણ્ય એશિયાટીક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. 24 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાને 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે. સિંહો માટે બ્રિડિંગ સેન્ટર, આઈસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડલ પૂરું પાડ્યું છે, સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યારે એશિયાઈ સિંહો વસ્તીમાં 32 ટકાનો વધારો થતાં જેની સંખ્યા 891 થઈ છે. સિંહોના સંરક્ષણ માટે નવા રહેઠાણો પણ વિકસાવવામાં આવ્યા છે, તેમાં બરડા અભયારણ્ય વિસ્તાર ઉભરી આવ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાના સન્માનનું પ્રતિક બનેલા સિંહ અને તેના સંરક્ષણના મોડલને સમગ્ર વિશ્વ સમક્ષ આગળ વધારવા માંગીએ છીએ.

ઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સના ડાયરેક્ટર એસ.પી. યાદવે વીડિયો ફિલ્મ નિદર્શનના માધ્યમથી IBCAની પૂર્વ ભૂમિકા અને બિલાડી કુળના 7 મુખ્ય વન્ય પ્રાણીઓની વૈશ્વિક પ્રેઝન્સના સંદર્ભમાં ચિતાર આપતા જણાવ્યું હતું કે, વિશ્વના સાત બિગ કેટમાં વાઘ, સિંહ, દીપડો, હિમ દિપડો, ચિત્તો, જેગુઆર અને પુમાનો સમાવેશ થાય છે. તે પૈકી પાંચ એટલે કે વાઘ સિંહ દીપડો હિમ દીપડો અને ચિત્તો ભારતમાં જોવા મળે છે.