પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પવિત્ર શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવભક્તિમાં લીન થયા હતા. સોમવારે દેવાધિદેવને વિશેષ શણગાર કરવામાં આવે છે ત્યારે ભગવાન શિવના શૃંગાર દર્શન માટે વહેલી સવારથી ભક્તો લાંબી કતારોમાં ઉભા રહી ગયા હતા.
સોમનાથ મંદિરે આજે મહાદેવની વિશેષ પાલખીયાત્રાનું આયોજન કરાયુ હતુ.તીર્થની પ્રણાલિકા મુજબ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરસિરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જેમા હજારો ભક્તો જોડાયા હતા.
શિવજીની આરાધનાના મહાપર્વ સોમનાથમાં મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા.
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિરમાં દર સોમવારે પાલખી યાત્રા યોજાય છે. જેમા શિવજીને વિશેષ શણગાર કરવામાં આવે છે.
આ પાલખી યાત્રામાં જોડાવા માટે ભાવિ ભક્તો વહેલી સવારથી જ કતારોમાં ગોઠવાઈ ગયા હતા અને પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા અને સાંજના 6 વાગ્યા સુધીમાં એક લાખ ભક્તો દર્શન કરશે તેવી ધારણા છે.
શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ તીર્થના સાંજના 6 વાગ્યા સુધીમાં 60 હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા. Input Credit Yogesh Joshi- Somnath