
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને શિવમ દુબે જેવા ખેલાડીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાથે જ કોચ ગૌતમ ગંભીરે પણ ટીમને માર્ગદર્શન આપ્યું. પરંતુ પડદા પાછળ રહીને ટીમની સફળતામાં મોટું યોગદાન આપનાર વ્યક્તિ મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હતા.

ભારતે T20 વર્લ્ડ કપ 2026 માં ઐતિહાસિક જીત નોંધાવી હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. આ મેચમાં જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સંજુ સેમસને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. જોકે, આ જીત પાછળ એક એવી વ્યક્તિનું યોગદાન પણ હતું, જે ન તો મેદાનમાં રમતો હતો અને ન તો ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ હતો.

આ વ્યક્તિ છે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર. તેમના કેટલાક કઠિન અને સાહસિક નિર્ણયો ભારતીય ટીમ માટે અત્યંત ફાયદાકારક સાબિત થયા. ઘણી વખત તેમના નિર્ણયોને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર ટીકા પણ થઈ, છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વખત ICC ટ્રોફી જીતવામાં સફળતા મેળવી.

અજિત અગરકર 4 જુલાઈ 2023ના રોજ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ અને બોલ્ડ નિર્ણયો લીધા, જેના કારણે ભારતીય ટીમને ખાસ કરીને વ્હાઇટ બોલ ક્રિકેટમાં મોટી સફળતા મળી. તેમના કાર્યકાળમાં ભારતે ત્રણ ICC ટુર્નામેન્ટ જીત્યા છે.

સૌપ્રથમ 2024માં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. ત્યારબાદ માર્ચ 2025માં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી. અને 8 માર્ચ 2026ના રોજ ફરી એક વખત ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો.

અજિત અગરકરના કેટલાક નિર્ણયો ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમણે સૂર્યકુમાર યાદવને T20 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. આ નિર્ણય સમયે ઘણા ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો માનતા હતા કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો જોઈએ. પરંતુ અગરકરે સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ મૂક્યો અને તે નિર્ણય અંતે યોગ્ય સાબિત થયો. તેમજ અજિત અગરકરે રોહિત શર્માને ODI ટીમના કેપ્ટનપદેથી દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો હતો. રોહિતના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હોવા છતાં, ત્યારબાદ શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી. આ નિર્ણય ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

2026ના T20 વર્લ્ડ કપ પહેલા ઈશાન કિશનની પસંદગી પણ અજિત અગરકરનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ. ઈશાને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી. અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પણ પહોંચી હતી. જોકે, તે ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. જો ભારત તે ટૂર્નામેન્ટ પણ જીતી હોત, તો અજિત અગરકર માટે તે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ બની શકી હોત. છતાં, તેમણે ભારતીય ક્રિકેટ માટે જે સેવા આપી છે, તે ખૂબ જ નોંધપાત્ર અને યાદગાર છે. (All Image - BCCI)