
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને ખુલાસો કર્યો છે કે રાજસ્થાન રોયલ્સ સાથે એક દાયકાથી વધુ સમય સુધી જોડાયેલા રહ્યા બાદ, આ આઈપીએલ ફ્રેન્ચાઈઝી છોડવી એ તેમના કરિયરના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક હતો. જો કે, મહેન્દ્ર સિંહ ધોની અને રુતુરાજ ગાયકવાડ સાથેના તેમના મજબૂત સંબંધોએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં તેમની સફરને એકદમ સરળ બનાવી દીધી.

ક્યારે લાગ્યું કે હવે આગળ વધી જવું જોઈએ? સંજુ સેમસન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા 'ટ્રેડ'ના માધ્યમથી CSK માં સામેલ થયા છે. સતત પાંચ વર્ષ સુધી રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરનાર આ ખેલાડીએ જીઓસ્ટારના ખાસ કાર્યક્રમ ‘સુપરસ્ટાર્સ’ માં વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'રાજસ્થાન રોયલ્સથી આગળ વધવું એ મારા માટે બહુ મોટો નિર્ણય હતો. જ્યારે તમે કોઈ ટીમ માટે લાંબા સમય સુધી રમો છો, ત્યારે તમને એવું લાગવા માંડે છે કે આ તમારી જ ટીમ છે અને કોઈ તમને અહીંથી હટાવી શકે નહીં.

પરંતુ મને હંમેશા એવો અહેસાસ હતો કે દરેક વ્યક્તિનો એક જગ્યાએ સમય મર્યાદિત હોય છે. તમે તમારું કામ કરો છો અને પછી આગળ વધી જાઓ છો. IPL 2025 પછી મને લાગ્યું કે હવે મારે આગળ વધી જવું જોઈએ. મેં મારી જાતને કહ્યું કે હવે છોકરાઓ તૈયાર છે અને રાજસ્થાન રોયલ્સ પણ સંજુ સેમસન વિના રમવા માટે સક્ષમ છે. બસ, ત્યારે જ મેં ટીમ છોડવાનો અંતિમ નિર્ણય લીધો.'

અન્ય ઓફર્સ છોડીને કેમ પસંદ કરી સીએસકે? કેરળના આ સ્ટાર ક્રિકેટરે જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ છોડ્યા પછી તેમની પાસે બે-ત્રણ અન્ય ટીમોના વિકલ્પ પણ ઉપલબ્ધ હતા, પરંતુ તેમણે CSKને જ પસંદ કરી કારણ કે આ ફ્રેન્ચાઈઝી તેમની રમતની શૈલી માટે સૌથી વધુ અનુકૂળ લાગતી હતી. આ સાથે જ પ્રતિષ્ઠિત પીળી જર્સી પહેરવી એ તેમના માટે એક ખાસ અને ગર્વનો અનુભવ હતો.

સેમસને ઉમેર્યું કે, 'તે સમયે મારી પાસે બે-ત્રણ ઓપ્શન હતા. પરંતુ સાચું કહું તો CSK પર માહી ભાઈ (એમ એસ ધોની) નો પ્રભાવ, ખુદ ફ્રેન્ચાઈઝીનું વાતાવરણ અને ત્યાં રહેલા મારા મિત્રો, ખાસ કરીને રુતુરાજ ગાયકવાડ સાથે મારું સારું બોન્ડિંગ હતું. અન્ય ખેલાડીઓ પાસેથી CSKના ડ્રેસિંગ રૂમ અને મેનેજમેન્ટ વિશે જે વાતો સાંભળી હતી, તેનાથી મને લાગ્યું કે આ ફ્રેન્ચાઈઝી મારા સ્વભાવ અને ક્રિકેટિંગ સ્ટાઈલ સાથે એકદમ પરફેક્ટ મેચ થાય છે.'