
પંજાબ કિંગ્સે આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા ક્યારે પણ આઈપીએલમાં આવું જોવા મળ્યું નથી. આઈપીએલમાં કોઈ પણ ટીમે 111 રનનો નાનો સ્કોર પૂર્ણ ન કરી શકી હોય તેવું બન્યું નથી. આ વચ્ચે હારેલી મેચ જીતાડનાર ખેલાડીની ચર્ચા થઈ રહી છે.

પંજાબ કિંગ્સની જીતનો હિરો યુઝવેન્દ્ર ચહલ રહ્યો હતો. તેમણે એક જ ઓવરમાં સતત 2 બોલ પર 2 વિકેટ લઈ મેચની બાજી પલટી નાંખી હતી. એક તે હેટ્રિક પર આવી ગયો હતો પરંતુ તે હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહી.

યુઝવેન્દ્ર ચહલે પોતાની 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ પોતાને નામ કરી છે. તેની એક ઓવરમાં તો આંદ્ર રસેલે 2 સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારે લાગી રહ્યું હતુ કે, આ જીત કેકેઆરના ખાતામાં છે. ચહલે 12મી ઓવરના ત્રીજા બોલ પર રિંકુ સિંહને આઉટ કર્યો હતો. જે નો બોલ પર 2 રન બનાવી ચૂક્યો હતો. તેના આગલા બોલ પર રમનદીપ સિંહ શૂન્ય પર આઉટ થયો હતો.

આ બંન્ને બેટ્સમેન જો આઉટ થયા ન હોત તો કેકેઆરને મેચ જીતાડી શકતા હતા પરંતુ આ બંન્ને પેવેલિયન પરત ફર્યા હતા. ચહલે આઠમી વખત આઈપીએલની એક મેચમાં 4 વિકેટ લીધી હતી.

ચહલે અત્યાર સુધીમાં IPLમાં KKR સામે 33 વિકેટ લીધી છે. ચહલે પંજાબ સામે પણ 32 વિકેટ લીધી છે, જેના માટે તે આ વર્ષે રમી રહ્યો છે. ટીમને જીત અપાવતા જ યુઝવેન્દ્ર ચહલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હવે આપણે પંજાબ કિંગ્સના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સ ટોપ-4માં છે. આ મેચ પહેલા પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને હતી પરંતુ જીત સાથે પંજાબે લાંબી છલાંગ લગાવી ચોથા સ્થાને આવી ગઈ છે. ચહલ ટીમ માટે મેચ વિનર રહ્યો હતો.