
કોલંબો ટેસ્ટમાં ભારતીય સ્પિન આક્રમણે શ્રીલંકાના બેટ્સમેનો પર સતત દબાણ બનાવ્યું છે. જોકે, બોલિંગ દરમિયાન નો-બોલની ભૂલ ટીમ માટે ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને સારાંશ જૈનના નો-બોલે ચર્ચા જગાવી છે.

ટેસ્ટના ત્રીજા અને ચોથા દિવસે ભારતીય સ્પિનરોએ મોટી સંખ્યામાં ઓવર ફેંકી હતી. ચોથા દિવસ સુધીમાં જાડેજા અને સારાંશ જૈને મળીને 75 ઓવર ફેંકી હતી, જેમાં બંનેએ કુલ 10 નો-બોલ કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં જાડેજાએ ત્રણ અને સરાંશે બે નો-બોલ કર્યા હતા.

આ સમસ્યા અંગે ટીમના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે વિકેટ ન મળતી હોય ત્યારે બોલરો વધુ દબાણ બનાવવાના પ્રયાસમાં ક્યારેક નો-બોલ કરી બેસે છે. જોકે, ટીમ આ સમસ્યાના ઉકેલ માટે સતત કામ કરી રહી છે.

બહુતુલેએ જણાવ્યું કે જાડેજા અને સારાંશ સાથે તેમના ટેક-ઓફ પોઈન્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમના મતે, ટેસ્ટ ક્રિકેટમાં પણ વનડે અને T20ની જેમ ફ્રી-હિટનો નિયમ લાગુ કરવામાં આવે તો બોલરોની નો-બોલ કરવાની ભૂલમાં ઘટાડો થઈ શકે છે.

જાડેજાના આંકડા પણ આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. 2021થી ટેસ્ટ ક્રિકેટમાં તેણે 88 નો-બોલ કર્યા છે, જે આ સમયગાળામાં સ્પિનરોમાં સૌથી વધુ છે. કોલંબો ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ નો-બોલને કારણે તેની એક વિકેટ રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માગે છે. (PC:PTI/X)
Published On - 9:11 pm, Wed, 26 August 26