
ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એવામાં ક્યારેય કોઈ નબળી ટીમ મજબૂત ટીમને હરાવીને અપસેટ કરી શકે છે. આજે ભારત અને નામિબિયા વચ્ચેની મેચમાં શું નામિબિયા અપસેટ સર્જી શકશે કે પછી વર્લ્ડ ચેમ્પિયન ભારત આસાનીથી જીત મેળવશે એ આજે રાત્રે ખબર પડી જશે.

નામિબિયાએ તાજેતરમાં સરસ પ્રદર્શન કર્યું છે, તેથી ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો સરળ નહીં રહે. પોઈન્ટ ટેબલમાં આગળ વધવા ભારત સતત બીજી જીત મેળવવા ઇચ્છશે. જયારે નામિબિયા પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે.

ભારત અને નામિબિયા વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. 2021ના વર્લ્ડ કપમાં થયેલી આ ટક્કરમાં ભારતે નવ વિકેટથી જીત મેળવી હતી. નામિબિયાએ પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 132 રન બનાવ્યા હતા, પરંતુ ભારતે 15.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

હાલના ફોર્મ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયાએ છેલ્લી પાંચ મેચમાંથી ચાર જીત મેળવી છે. વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતે યુએસએને હરાવ્યું હતું, જોકે તે મેચમાં કેપ્ટન સૂર્યા સિવાય અન્ય બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા.

બીજી તરફ, નામિબિયાએ છેલ્લી પાંચ મેચમાં ત્રણ જીત મેળવી છે, પરંતુ 2026 T20 વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં સ્કોટલેન્ડ સામે હાર થઈ હતી.

અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં જીત માટે સરેરાશ સ્કોર લગભગ 184 રહ્યો છે, જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે આશરે 44.4 ટકા મેચોમાં જીત મેળવી છે. સ્પિનરોને પણ અહીં મદદ મળતી હોવાથી મધ્ય ઓવરોમાં રમતનું સંતુલન બદલાઈ શકે છે.

ખેલાડીઓની વાત કરીએ તો નામિબિયાના ઓપનર જોન ફ્રાયલિંક અને કેપ્ટન ગેરહાર્ડ રાસમસ પર ટીમનો સ્કોર નિર્ભર છે. રાસમસે 74 ઇનિંગ્સમાં 1851 રન બનાવ્યા છે, જ્યારે જેજે સ્મિથે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ છેલ્લા વર્લ્ડ કપ પછી 31 મેચમાં 58 વિકેટ ઝડપી છે. આ સિવાય બુમરાહ અને અર્શદીપની ઝડપી બોલિંગ સામે નામિબિયાની બેટિંગ કેવી રીતે ટકી રહે છે તે જોવું રસપ્રદ રહેશે. (PC: PTI/X)