
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ભારત અને શ્રીલંકાની સહ-યજમાનીમાં થયું હતું. લગભગ એક મહિના સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં વિશ્વની ટોચની ટીમોએ ભાગ લીધો હતો. અમદાવાદના ખીચોખીચ ભરાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી.

ભારત માટે આ જીત ખાસ રહી, કારણ કે ટીમ ઇન્ડિયાએ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. સાથે સાથે આ ભારતનો કુલ ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ પણ બન્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ચાહકોને યાદગાર ક્ષણો આપી હતી.

ટુર્નામેન્ટના સફળ આયોજનને કારણે વૈશ્વિક રમતગમત જગતમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. આ ભવ્ય ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ICC અધ્યક્ષ જય શાહના નેતૃત્વને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ક્રિકેટને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવા માટે તેમના પ્રયાસોની પણ પ્રશંસા થઈ રહી છે.

આ સિદ્ધિને બિરદાવતા FIFA અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ પણ જય શાહને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને ICC અને જય શાહને સફળ રીતે T20 વર્લ્ડ કપ આયોજિત કરવા બદલ શુભેચ્છાઓ આપી હતી.

પોસ્ટમાં ઇન્ફેન્ટિનોએ ભારતને વધુ એક T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે ભારતની મુલાકાત બાદ તેમને સમજાયું છે કે ક્રિકેટ અહીં કેટલું મહત્વ ધરાવે છે અને આ જીત દેશ માટે કેટલી ખાસ છે.

ઉલ્લેખનીય છે કે જય શાહ ICC અધ્યક્ષ બન્યા પછી ક્રિકેટને વૈશ્વિક સ્તરે વધુ વિસ્તૃત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2026 એ વ્યૂઅરશીપના મામલે પણ નવા રેકોર્ડ બનાવ્યા છે.

ટુર્નામેન્ટનું પ્રસારણ 80 થી વધુ દેશોમાં અને 15 થી વધુ ભાષાઓમાં થયું હતું, જેના કારણે વિશ્વભરમાં કરોડો ચાહકોએ આ ટુર્નામેન્ટનો આનંદ માણ્યો હતો. (PC:PTI/X)