
ભારતીય ક્રિકેટમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તાજેતરમાં ભારતીય T20 ટીમના કેપ્ટન પદ પરથી હટાવવામાં આવ્યા બાદ અને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાંથી બહાર થયા બાદ સમાચારમાં છે.

BCCI દ્વારા કેપ્ટન પદ પરથી હટાવવાના આઘાતજનક નિર્ણય બાદ, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે, જે હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવવા છતાં સૂર્યકુમાર યાદવે ન માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી પરંતુ આગામી શ્રેણી માટે ટીમમાંથી સ્થાન પણ ગુમાવ્યું. આ બધા વચ્ચે BCCI દ્વારા નવી ટીમની જાહેરાત કર્યા પછી, સૂર્યાએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી.

સૂર્યકુમાર યાદવે BCCI ના સત્તાવાર ટીમ ગ્રાફિકને ફરીથી શેર કર્યો અને લખ્યું, "આગળ આવનારા પડકારો માટે આ અત્યંત પ્રતિભાશાળી ગ્રુપને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ."

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે સૂર્યકુમાર યાદવને બાકાત રાખવાના નિર્ણય વિશે વાત કરતા, એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "સૂર્યાના સંદર્ભમાં, તે એક મુશ્કેલ નિર્ણય હતો. તેના ફોર્મ અને આગામી બે વર્ષના ને સર્કલને ધ્યાનમાં લેતા, અમને લાગ્યું કે આ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે. શ્રેયસ યોગ્ય રીતે લાયક છે."

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ કુલ 52 મેચ રમી હતી, જેમાંથી 42 મેચ જીતી હતી. નોંધનીય છે કે, તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતે કુલ નવ દ્વિપક્ષીય શ્રેણી રમી હતી, જે બધી જીતી હતી. વધુમાં, તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતે એક પણ મેચ હાર્યા વિના એશિયા કપ પણ જીત્યો હતો.

ત્યારબાદ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ ટાઇટલનો બચાવ કર્યો અને સતત બીજી વાર વર્લ્ડ કપ જીત્યો. જો કે, આ દરમિયાન તે બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો, જેના કારણે BCCI એ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું. (PC:X/BCCI/ICC)