
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર બોલિંગ કરી. તેણે પાવરપ્લેમાં સતત બે બોલ પર રાયન રિકલ્ટન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સની કમર તોડી નાખી.

મુંબઈ ઈન્ડિયન્સ સામેની પહેલી ઓવરમાં અર્શદીપ સિંહે ફક્ત એક જ રન આપ્યો હતો પરંતુ બીજી ઓવરમાં તેણે સતત બે બોલ પર બે વિકેટ લીધી હતી. અર્શદીપે બીજી ઓવરના પહેલા બોલ પર રાયન રિકલ્ટનને આઉટ કર્યો અને પછીના બોલ પર તેણે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. અર્શદીપ સિંહે પોતાની શાર્પ બોલિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ બનાવ્યો.

અર્શદીપ સિંહે રાયન રિકલ્ટનને આઉટ કરીને IPLમાં 100 વિકેટ પૂર્ણ કરી હતી. તે IPLમાં 100 વિકેટ લેનાર પાંચમો ડાબોડી ઝડપી બોલર છે અને પંજાબ માટે 100 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર છે.

અર્શદીપ સિંહે 2019માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે પંજાબે તેને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ તેણે IPLમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું.

અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં છે. તે પાવરપ્લેમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પણ તેણે છેલ્લી 10 ઈનિંગ્સમાં પાવરપ્લેમાં એક પણ વિકેટ લીધી ન હતી. હવે, મુંબઈ ઈન્ડિયન્સ સામે તેણે પાવરપ્લેમાં સંપૂર્ણ રાયન રિકલ્ટન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને બે વિકેટ લીધી હતી.

અર્શદીપ સિંહે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. IPL ઉપરાંત, તેણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 થી વધુ વિકેટો લીધી છે અને સૌથી સફળ ભારતીય બોલર છે. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા ક્રમે છે. (PC:PTI/X)