
IPL 2026 વચ્ચે BCCI એ ટીમ ઈન્ડિયાની વધુ એક સિરીઝની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા જુલાઈ 2026માં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચોની T20 શ્રેણી રમવા જઈ રહી છે. આ શ્રેણી 23 થી 26 જુલાઈ દરમિયાન યોજાશે અને તમામ મેચો હરારેમાં રમાશે. BCCI દ્વારા આ શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

હાલમાં ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ IPL 2026માં વ્યસ્ત છે. લીગ પૂર્ણ થયા પછી ખેલાડીઓને આરામનો સમય ઓછો મળશે, કારણ કે તરત જ આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી શરૂ થવાની છે.

છેલ્લા ચાર વર્ષમાં ભારતનો આ ત્રીજો ઝિમ્બાબ્વે પ્રવાસ હશે. 2022માં ભારતે ત્યાં ODI શ્રેણી રમી હતી, જ્યારે 2024માં પાંચ મેચોની T20 શ્રેણી યોજાઈ હતી. હવે ફરી એકવાર બંને ટીમો T20 ફોર્મેટમાં આમને-સામને જોવા મળશે.

આ T20 શ્રેણીમાં 23, 25 અને 26 જુલાઈએ ત્રણ મેચ યોજાશે. T20 શ્રેણી બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે એક ODI શ્રેણી પણ યોજાવાની છે, જે ભારતમાં રમાશે. ખાસ વાત એ છે કે 2002 પછી પ્રથમ વખત બંને દેશો વચ્ચે ભારતની ધરતી પર વન-ડે શ્રેણી યોજાશે.

ભારતનો વ્યસ્ત શેડ્યૂલ અહીં પૂરો નથી થતો. IPL બાદ ટીમ પ્રથમ અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ અને ODI શ્રેણી રમશે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં બંને ફોર્મેટમાં મેચો રમાશે.

તાજેતરમાં બંને ટીમો T20 વર્લ્ડ કપ 2026 માં પણ ટકરાઈ હતી. તે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 72 રનથી જીત મેળવી હતી. ભારતે પહેલા બેટિંગ કરીને 256 રન બનાવ્યા હતા, જ્યારે ઝિમ્બાબ્વે 184 રન સુધી જ પહોંચી શક્યું હતું. (PC:PTI/X/BCCI)
Published On - 3:56 pm, Wed, 1 April 26