
ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચ બાદ થયેલા વિવાદ પર હવે સત્તાવાર નિર્ણય આવી ગયો છે. આ ઘટનામાં ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી નહીં, પરંતુ શ્રીલંકાના ખેલાડી વિશેન હલંબગે સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મેચ દરમિયાન અને ત્યારબાદ વિશેન હલંબગેએ વૈભવ સૂર્યવંશી પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી. આ કારણે બંને ખેલાડીઓ વચ્ચે વાત વધી ગઈ હતી અને ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી.

મેચ રેફરીએ સમગ્ર ઘટનાની સમીક્ષા કર્યા બાદ વિશેન હલંબગેને દોષિત માન્યો હતો. આ સમગ્ર વિવાદમાં શ્રીલંકન ખેલાડીની ભૂમિકા વધુ જવાબદાર હોવાનું માનવામાં આવ્યો છે. જયારે વૈભવ સૂર્યવંશીને કોઈ સજા નથી થઈ.

આ મામલે શ્રીલંકાના સિનિયર વિકેટકીપર નિરોશન ડિકવેલાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, ડિકવેલા વૈભવ સાથેના વિવાદમાં સીધા સામેલ નહોતા અને તેમણે બંને ખેલાડીઓ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

વૈભવ સૂર્યવંશી માટે આ નિર્ણય મોટી રાહત સમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના પર પ્રતિબંધ અથવા ડિમેરિટ પોઈન્ટ લાગવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તે આગામી મેચમાં નિરાંતે રમતો જોવા મળશે. (PC:PTI/X)
Published On - 8:18 pm, Tue, 16 June 26