
આમ છતાં, BCCI અધિકારીઓ માને છે કે વર્તમાન વાતાવરણમાં IPLનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિવિધ ફ્રેન્ચાઈઝીના અધિકારીઓ સાથે વાત કર્યા પછી, તેમણે અનૌપચારિક રીતે કહ્યું છે કે આ સિઝનની બાકીની મેચો વર્ષના અંતમાં રમાડી શકાય છે.

IPL 2025 સ્થગિત થતા વિદેશી ખેલાડીઓએ પોતાના દેશમાં પાછા ફરવાની માંગ શરૂ કરી દીધી છે. ધર્મશાલાથી દિલ્હી આવ્યા બાદ કેટલાક વિદેશી ખેલાડીઓએ પોતાના દેશ પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. અન્ય વિદેશી ખેલાડીઓ પણ શનિવાર સુધીમાં ભારત છોડી દેશે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, જો લીગ ફરી શરૂ થાય તો પણ તેમને પાછા લાવવાનો મોટો પડકાર હશે.

જોકે, ફ્રેન્ચાઈઝીને વિશ્વાસ છે કે જો મે મહિનામાં ટુર્નામેન્ટ ફરી શરૂ થશે તો મોટાભાગના વિદેશી ખેલાડીઓ ટીમમાં પાછા જોડાશે. પરંતુ જો સમયમર્યાદા 25 મેથી આગળ વધારવામાં આવે તો કોઈ ગેરંટી રહેશે નહીં.

IPLની ફાઈનલ મેચ 25 મે ના રોજ કોલકાતામાં યોજાવાની હતી. આ પછી, ઘણા ખેલાડીઓ તેમના દેશ માટે રમવામાં વ્યસ્ત હશે. WTCની ફાઈનલ પણ 11 જૂનથી લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા-આફ્રિકા વચ્ચે રમાશે.

IPL 2025માં 74 માંથી 57 મેચ પૂર્ણ થઈ ગઈ છે. 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે 58મી મેચ રમાઈ રહી હતી, જે 10.1 ઓવરની રમત પછી રદ્દ કરવામાં આવી હતી. BCCIએ હજુ સુધી નિર્ણય લીધો નથી કે તે મેચ ફરીથી રમાશે કે નહીં.

એવી અપેક્ષા છે કે આ મેચ પણ નવા સમયપત્રક સાથે પૂર્ણ થશે. આનો અર્થ એ થયો કે ટુર્નામેન્ટમાં હજુ બાકી રહેલી 12 લીગ મેચ, 3 પ્લેઓફ અને એક ફાઈનલ મેચ નવા સમયપત્રક પ્રમાણે રમાશે.

વર્તમાન સમયપત્રક મુજબ, હૈદરાબાદ પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટરનું આયોજન કરવાનું હતું, જ્યારે કોલકાતા બીજા ક્વોલિફાયર અને ફાઈનલનું આયોજન કરવાનું હતું. પરંતુ હવે BCCI આ માટે એક નવું સમયપત્રક જાહેર કરશે. (All Photo Credit : PTI)