
IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલાથી જ ખરાબ ફોર્મમાં ચાલી રહી છે અને હવે તેમના મુખ્ય બેટ્સમેન આયુષ મ્હાત્રેના બહાર થઈ જવાથી મુશ્કેલી વધી ગઈ છે. ટીમે અત્યાર સુધી 6 માંથી માત્ર 2 મેચ જીતી છે.

CSK ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આયુષ મ્હાત્રે ને 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે હવે બાકીની સિઝનમાં ભાગ લઈ શકશે નહીં.

પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મ્હાત્રેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 6 થી 8 અઠવાડિયાનો સમય લાગશે. આ સમયગાળો IPL સિઝન પૂરી થવા જેટલો લાંબો હોવાથી તેની વાપસી હવે શક્ય નથી.

આ સિઝનમાં મ્હાત્રે CSK માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન સાબિત થયો હતો. તેણે 6 ઇનિંગ્સમાં 33.50ની સરેરાશ અને 177.87ના જોરદાર સ્ટ્રાઇક રેટથી 201 રન બનાવ્યા હતા.

મ્હાત્રે પછી ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સંજુ સેમસન છે, જેણે 192 રન નોંધાવ્યા છે. જોકે, ટીમ માટે મ્હાત્રે જેટલી અસરકારક બેટિંગ કોઈ અન્ય બેટ્સમેન કરી શક્યો નથી.

મ્હાત્રેની IPL કારકિર્દી પણ નોંધપાત્ર રહી છે. તેણે 2025માં ડેબ્યૂ કર્યા બાદ કુલ 13 મેચોમાં 441 રન બનાવ્યા છે. 33.92ની સરેરાશ અને 183.75ના સ્ટ્રાઇક રેટ સાથે તે યુવા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. હવે તેની ગેરહાજરી CSK માટે મોટો પડકાર સાબિત થશે. (PC:PTI/X/CSK)