
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખપદ પર પણ જોવા મળી શકે છે. એશિયા કપની ટ્રોફી સાથે જોડાયેલા વિવાદ બાદ મોહસીન નકવીનું જોખમમાં છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે મોહસીન નકવીના ACC પ્રમુખ તરીકેના ભવિષ્ય પર પણ પડી શકે છે. મહિલા એશિયા કપમાં ભારતીય ટીમે પણ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.

આ પહેલાં પુરુષ ટીમે પણ એશિયા કપ જીત્યા બાદ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. બંને ઘટનાઓ બાદ નકવીના નિર્ણય અને તેની ભૂમિકા અંગે ચર્ચા વધી છે.

નકવીનો બે વર્ષનો કાર્યકાળ એપ્રિલ 2027માં પૂર્ણ થવાનો છે. હાલની પરિસ્થિતિને જોતા તેને બીજા કાર્યકાળ માટે જરૂરી સભ્ય દેશોનું સમર્થન મળવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે.

ACCના નિયમો મુજબ પ્રમુખપદ પાંચ પૂર્ણ સભ્ય દેશો ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રોટેશન પદ્ધતિથી ફાળવવામાં આવે છે. સામાન્ય રીતે કાર્યકાળ બે વર્ષનો હોય છે.

જોકે, વર્તમાન પ્રમુખનો કાર્યકાળ બે વર્ષથી આગળ વધારી શકાય છે. તેના માટે અન્ય સભ્ય બોર્ડે વાર્ષિક સામાન્ય સભામાં ઔપચારિક પ્રસ્તાવ મૂકવો પડે છે અને તમામ સભ્ય દેશોનું સમર્થન જરૂરી બને છે.

અગાઉ ભારતના જય શાહે પણ ACC પ્રમુખ તરીકે બે વર્ષના કાર્યકાળ બાદ બે વખત એક-એક વર્ષનું વિસ્તરણ મેળવ્યું હતું. તેઓ જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2024 સુધી આ પદ પર રહ્યા હતા.

નકવી સામે ભારત સાથેના સંબંધોને લઈને પણ અસંતોષ છે. ખાસ કરીને પહેલગામ હુમલા બાદ તેમના કેટલાક નિવેદનોને કારણે ભારતીય ક્રિકેટ સમુદાયમાં નારાજગી જોવા મળી હતી. હવે જોવાનું રહેશે કે 2027માં તેના કાર્યકાળ બાદ ACC કઈ દિશામાં આગળ વધે છે. (PC:PTI/X)
Published On - 5:55 pm, Mon, 14 September 26