
ભારતીય ટીમ મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. બે વર્ષ પહેલાં, ટીમ ઇન્ડિયા ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગઈ હતી, પરંતુ આ વખતે તેઓ ટ્રોફી ફરીથી જીતવાનું લક્ષ્ય રાખશે.

ટીમ ઇન્ડિયાની શાનદાર જીત છતાં કેપ્ટન હરમનપ્રીત કૌરની મેચ બાદ ભારે ટીકા થઈ હતી. સોશિયલ મીડિયામાં હરમનપ્રીતને ફેન્સે ભારે ટ્રોલ કરી હતી. કેટલાક ફેન્સે તો તેને નિવૃત્તિ લેવાની પણ માંગ કરી છે.

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરી અને 149 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા માટે, શેફાલી વર્માએ માત્ર 40 બોલમાં 64 રન બનાવ્યા. રિચા ઘોષે 16 બોલમાં 21 રન બનાવ્યા, અને દીપ્તિ શર્માએ 6 બોલમાં 13 રન બનાવ્યા.

આ બધા વચ્ચે, ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 24 રનનું યોગદાન આપ્યું અને અણનમ રહી. જોકે, તેણે જે ગતિથી આ રન બનાવ્યા તે ચિંતાજનક હતું. હરમનપ્રીતે 28 બોલનો સામનો કર્યો અને 24 રન બનાવ્યા. તેની રન બનાવવાની ગતિ વધુ ધીમી હતી.

એક સમયે હરમનપ્રીતે 15 બોલમાં ફક્ત 3 રન બનાવ્યા હતા, જે T20 મેચ માટે ખૂબ જ ધીમા અને ચોંકાવનાર છે. અંતે, તેણે બે છગ્ગા ફટકારીને થોડી રિકવરી કરી હતી, પરંતુ તેની ઇનિંગે બધાને નિરાશ કર્યા હતા.

હરમનપ્રીતની ઇનિંગની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે, ચાહકોએ તેણીને નિવૃત્તિ લેવાની માંગ કરી છે. આ ફક્ત એક મેચની નહીં, પરંતુ આખી ટુર્નામેન્ટની કહાની છે. થાઇલેન્ડ સામેની પહેલી મેચમાં, તેણી 9 બોલમાં ફક્ત 5 રન બનાવી શકી હતી, જ્યારે હોંગકોંગ સામે, તેણીએ 9 બોલમાં 10 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે લક્ષ્ય નાનો હતો, અને તેણીએ 18 બોલમાં 18 રન બનાવીને ટીમને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી હતી.

આ વર્ષે, હરમન કુલ 18 T20 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાંથી સાતમાં તેનો સ્ટ્રાઇક રેટ 100 કે તેથી ઓછો છે. પરિણામે, તે સતત પ્રશ્નોથી ઘેરાયેલી રહી છે, અને આવી બેટિંગ પછી, તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થવાની શક્યતા છે. હવે બધાની નજર ફાઇનલ પર છે, જ્યાં ભારતીય કેપ્ટન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. (PC:PTI/X)