
સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે જનગણનામાં ગમે તે વિગતો લખાવી શકાય છે અને તેની કોઈ તપાસ નથી થતી. પરંતુ આ વખતે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ખોટી માહિતી કાયદાકીય મુશ્કેલી નોતરી શકે છે. જનગણના અધિનિયમ, 1948 ની કલમ 11 હેઠળ આ એક સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખોટી માહિતી આપી તો શું થશે સજા?: સરકારના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી કે અધૂરી માહિતી આપશે, સવાલોના જવાબ આપવાનો ઈન્કાર કરશે અથવા જનગણના અધિકારીની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેને ગુનો માનવામાં આવશે. આ ગુના માટે દોષિત ઠરનાર વ્યક્તિને ₹1000 સુધીનો દંડ, 3 વર્ષ સુધીની જેલ અથવા આ બંને સજા એકસાથે થઈ શકે છે.

નિયમો માત્ર જનતા માટે જ નહીં, કર્મચારીઓ માટે પણ કડક: આ કાયદો માત્ર સામાન્ય નાગરિકોને જ લાગુ નથી પડતો, પરંતુ જનગણનાની કામગીરી કરતા સરકારી કર્મચારીઓ પર પણ એટલો જ લાગુ પડશે. જો કોઈ કર્મચારી પોતાની ફરજમાં બેદરકારી દાખવશે, ખોટા આંકડા તૈયાર કરશે અથવા કોઈ નાગરિકનો ડેટા લીક કરશે, તો તેમની સામે પણ આ જ કાયદા હેઠળ કડક કાનૂની પગલાં લેવાશે. જોકે, સરકારે ખાતરી આપી છે કે નાગરિકોની અંગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

આ વખતે શું નવું છે? પ્રથમ વખત ડિજિટલ જનગણના: જનગણના 2027 ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ રીતે થઈ રહી છે. નાગરિકોને જાતે જ ઓનલાઈન માહિતી ભરવા માટે સેલ્ફ-એન્યુમેરેશન (સ્વ-ગણતરી) ની સુવિધા આપવામાં આવી હતી. હવે આજથી એટલે કે 16 મેથી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને આંકડા એકત્રિત કરવાનું શરૂ કરશે.

જો તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય, તો તમારે ઘરે આવનાર કર્મચારીને માત્ર તમારો આઈડી નંબર આપવાનો રહેશે. આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કુલ 33 સવાલોના જવાબ આપવાના રહેશે, જેમાં અંદાજે 15 થી 20 મિનિટનો સમય લાગશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે આ લિંક પર જવું: (https://se.census.gov.in)