Breaking News : ફૂલોથી સજાવેલા બંગલામાં ગુંજ્યો ગોળીનો અવાજ, ખુશીના પ્રસંગ પહેલાં શોકની છાયા, જુઓ Video
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ દીકરીના લગ્નના ચાર દિવસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો. પત્ની સાથે મહેમાનો બોલાવવા બાબતે થયેલા ઝઘડા બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે અને સ્થિતિ ગંભીર છે. ઉમરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સુરતના એક વૈભવી અને ફૂલોથી સજાવેલા બંગલામાં દીકરીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ઘર આનંદ, ઉત્સાહ અને સંબંધીઓની આવજાવથી ગૂંજી રહ્યું હતું. પરંતુ લગ્નના માત્ર ચાર દિવસ પહેલાં જ આ બંગલો એક હ્રદયદ્રાવક ઘટનાનો સાક્ષી બન્યો.
જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતના પ્રયાસના મામલે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, લગ્નમાં મહેમાનોને બોલાવવા મુદ્દે પત્ની સાથે તેમનો ઉગ્ર ઝઘડો થયો હતો. રાત્રે બેડરૂમમાં બિલ્ડર તેમની પત્ની અને પુત્રી વચ્ચે લગ્ન અંગે ચર્ચા થઈ હતી, જેમાં વાત વણસી જતા તણાવ વધ્યો હતો.
પરિવારના સભ્યો બેડરૂમમાંથી બહાર નીકળ્યા બાદ માત્ર 10 મિનિટની અંદર જ તુષાર ઘેલાણીએ લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગોળીબારનો અવાજ સંભળાતા જ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં બિલ્ડરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર 9 MM બુલેટના પાર્ટિકલ્સ તેમના માથામાં ફસાયેલા છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તેમની પલ્સ રેટ માત્ર 22 ચાલી રહી છે, જે ગંભીર ચિંતા જગાવે તેવી સ્થિતિ છે.
પરિવારજનોએ દાવો કર્યો છે કે તુષાર ઘેલાણી હાર્ટ અને બીપી જેવી બીમારીઓથી પીડાતા હતા અને તેના કારણે તેઓ નાની-નાની વાતોમાં પણ ગુસ્સે થઈ જતા હતા. લાંબા સમયથી ચાલતો માનસિક તણાવ આ દુર્ઘટનાનો મુખ્ય કારણ બની ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક તરફ દીકરીના લગ્નની ખુશી, તો બીજી તરફ પિતાના જીવન માટેની લડાઈ આ ઘટનાએ સમગ્ર પરિવારને તેમજ વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાના દરેક પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
Input Credit: Baldev Suthar
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, ત્રણની ધરપકડ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો