
જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) અને મરણ પ્રમાણપત્ર (Death Certificate) બંને લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જન્મ પ્રમાણપત્ર કોઈપણ બાળક માટે તેની પ્રથમ ઓળખ સમાન હોય છે, જેના દ્વારા શાળા-કોલેજોમાં પ્રવેશ અને સરકારી યોજનાઓનો લાભ મળે છે. તેવી જ રીતે મૃત્યુ પછી પણ મૃતકનું સર્ટિફિકેટ બનાવવું જરૂરી હોય છે, કારણ કે તે એક કાનૂની દસ્તાવેજ છે. તેનો ઉપયોગ પરિવારજનો બેંકના કામકાજ કે માલિકી હકના દાવા માટે કરતા હોય છે. પરંતુ હવે જન્મ અને મરણ પ્રમાણપત્રની નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સંસદના મોનસૂન સત્રમાં 'જન્મ અને મરણ નોંધણી (સુધારા) વિધેયક 2026' પસાર કરવામાં આવ્યું છે.

પહેલા લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં આ સુધારા વિધેયક 2026 પસાર થઈ ચૂક્યું છે. આ સાથે જ 1969 ના મૂળ અધિનિયમમાં સુધારો થઈ ગયો છે, એટલે કે જન્મ અને મરણ બંને સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા હવે બદલાઈ ગઈ છે. સરકારનું કહેવું છે કે આ નિયમો બદલવાનો મુખ્ય હેતુ મોડેથી થતી જન્મ-મરણની નોંધણીના નિયમોને કડક બનાવવાનો અને બોગસ કે નકલી આઈડી બનતા અટકાવવાનો છે.

જન્મ અને મરણ નોંધણીમાં શું બદલાવ થયો? આ નવો નિયમ મુખ્યત્વે એવા લોકો માટે બદલવામાં આવ્યો છે જેઓ જન્મ કે મરણ સમયે તાત્કાલિક નોંધણી કરાવતા નથી. એટલે કે વિલંબ કરવાના કિસ્સામાં નિયમો આકરા કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય બે ફેરફારો છે:

પ્રથમ ફેરફાર: જો જન્મ કે મરણની માહિતી 1 વર્ષ પછી અને 2 વર્ષની અંદર આપવામાં આવે છે, તો તેની નોંધણી માત્ર કલેક્ટર (DM), એડિશનલ કલેક્ટર (ADM) અથવા તેમના દ્વારા અધિકૃત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશ અને તપાસ પછી જ થઈ શકશે. બીજો ફેરફાર: જો જન્મ કે મરણની માહિતી આપવા માટે 2 વર્ષથી વધુ સમય થઈ જાય છે, તો તેની નોંધણી માત્ર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પર જ થશે. એટલે કે 2 વર્ષથી વધુ મોડું થવાના કિસ્સામાં તમારે કોર્ટમાંથી જ તેની ચકાસણી (Verfication) કરાવવી પડશે.

સંસદમાં સરકારે શું કહ્યું? સંસદમાં સરકારે જણાવ્યું કે યોગ્ય સમયે નોંધણી ન કરાવવી અને વર્ષો પછી બોગસ દસ્તાવેજોથી આઈડી બનાવવાની પ્રવૃત્તિઓ રોકવા માટે આ નવી વ્યવસ્થા લાવવી પડી છે. સરકારે કહ્યું કે એવું જોવા મળ્યું છે કે ઘણા કિસ્સાઓમાં ખોટું નામ અને ખોટી ઉંમર દર્શાવીને સર્ટિફિકેટ બનાવી લેવાતા હતા. જેના કારણે સરકારી યોજનાઓમાં નાગરિકની ઓળખમાં ગડબડ થતી હતી અને બોગસ વોટિંગની સમસ્યાઓ પણ ઊભી થતી હતી.

તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે જન્મ અને મરણની સૂચના સમયસર જ મહાનગરપાલિકા, નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં આપી દેવી હિતાવહ છે. જો સમય વીતી ગયા પછી તમે તેને ટાળતા રહેશો, તો તમારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને સરકારી કચેરીઓ તથા કોર્ટના ચક્કર કાપવા પડશે.
Published On - 4:37 pm, Thu, 6 August 26