
એક લોકપ્રચલિત દંતકથા મુજબ, એક વખત માતા પાર્વતીએ મહાદેવને ભવનાથ સ્થળનો ઇતિહાસ પૂછ્યો. ત્યારે મહાદેવએ કહ્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક સ્થાન છે જેને “વસ્ત્રાપથ” કહેવામાં આવે છે. અહીં બિલિપત્રના વૃક્ષોની વચ્ચે મારું પવિત્ર લિંગ સ્વયંભૂરૂપે સ્થાપિત છે.એક વખત મહાશિવરાત્રીના પાવન દિવસે એક પારધી અહીં આવ્યો. તેને ખબર નહોતી કે તે પવિત્ર સ્થળ છે, પરંતુ અજાણતા જ તેણે શિવલિંગની પૂજા કરી. આખી રાત તે બીલીના વૃક્ષ નીચે બેસીને બિલિપત્ર તોડતો રહ્યો અને શિવલિંગ પર અર્પણ કરતો રહ્યો. તેની આ નિષ્ઠા અને અર્પણ ભાવના કારણે તેનું કલ્યાણ થયું અને તે ભવબંધનથી મુક્ત થયો.

આજ સુધી આ કથા મહાશિવરાત્રીના પાવન પ્રસંગ સાથે જોડાયેલી છે. લોકવાયકા અનુસાર મહા વદ ચૌદશના દિવસે પારધી સાથે ઈન્દ્રદેવએ પણ આ લિંગની આરાધના કરી હતી. ત્યારબાદ આ લિંગને “ભવેશ્વર” નામે સ્થાપિત કરવામાં આવ્યું, જે આજે “ભવનાથ” તરીકે પ્રખ્યાત છે.“ભવનાથ” શબ્દનો અર્થ છે. ભવબંધનનો નાશ કરનાર. માન્યતા એવી છે કે ભવનાથ મહાદેવના પરિસરમાં પગ મૂકતાની સાથે જ ભક્તના પાપો ક્ષીણ થઈ જાય છે અને તેને મુક્તિનો આશીર્વાદ મળે છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)