Gujarat Eleciton 2022: પહેલા તબક્કાએ સત્તા અને સરકાર નક્કી કરી નાખી?

|

Dec 04, 2022 | 5:12 PM

2017માં પાટીદારો લગભગ એક હતા, આ વખતે વહેંચાઈ ગયા છે. કદાચ તેમના નેતાઓ પરનો વિશ્વાસ ઘટ્યો છે. એટલે પાટીદારોનું મતદાન ઓછુ થયું. એવુ પણ બને કે પટેલ ઉમેદવારો તેમના પટેલ મતો ના મળે તો હારી જાય.

Gujarat Eleciton 2022: પહેલા તબક્કાએ સત્તા અને સરકાર નક્કી કરી નાખી?
Image Credit source: TV9 GFX

Follow us on

મતદાનનો પૂર્વાધ એટલે કે પહેલો તબક્કો ડિસેમ્બરની 1લી તારીખે પુરો થયો અને બીજો તબક્કો એક દિવસ બાદ 5મીએ ઉત્તરાર્ધ ગણાશે. પરિણામ ભલેને 8મીએ આવ્યું હશે પણ તે પહેલા જ કોણ જીતશે, કોણ હારશે તેની ગણતરી સટ્ટા બજારથી સત્તાકારણીઓ સુધી થવા માંડી છે. મીડિયામાં પ્રિ-પોલ આવ્યા અને બીજા હજુ આવશે. 8મીએ પરિણામ પહેલા તો દુનિયાને ખબર પડી જશે કે ગુજરાતમાં કોના પર મતદારે કળશ ઢોળ્યો છે!

હા, એ પણ સાચુ કે કળશ ઢોળનારાની ટકાવારી પહેલા તબક્કામાં 60 ટકાની છે. બાકીના 40 ટકાએ મતદાન કેમ ના કર્યુ, તેના જવાબ હાજર છે પણ તેમાંય અભિપ્રાય ભેદ તો છે જ. એક મોટો વર્ગ માને છે કે કોંગ્રેસે પોતાના મત માટે પ્રયાસ કર્યો નહીં! બીજો વર્ગ એવુ માને છે કે ‘આપ’ના રાજકીય રીતે બિનઅનુભવી ઉમેદવારો માટે મતદાર ઉદાસ હતો તે મતપેટી સુધી પહોંચ્યો જ નહીં.

ત્રીજો વર્ગ એમ માને છે કે જંગી મતદાન માટે તત્પર ભાજપના કાર્યકર્તા ઉણા ઉતર્યા છે. સભાઓમાં VIP નેતાઓને લાવ્યા તેમની વ્યવસ્થા અને સભાઓના આયોજનમાં કાર્યકર્તા એટલો વ્યસ્ત રહ્યો કે મતદાર સુધીના પ્રચારમાં અવરોધ આવ્યો. એક વર્ગ એવો પણ છે, જે પક્ષમાં આપસી ખેંચતાણ અને પક્ષપલટાને લીધે ઉદાસીનતા વધ્યાનું કહે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

એક નવો અભિપ્રાય પણ નોંધવા જેવો છે, તે પાટીદારો વિશેનો છે. 2017માં પાટીદારો લગભગ એક હતા, આ વખતે વહેંચાઈ ગયા છે. કદાચ તેમના નેતાઓ પરનો વિશ્વાસ ઘટ્યો છે. એટલે પાટીદારોનું મતદાન ઓછુ થયું. એવુ પણ બને કે પટેલ ઉમેદવારો તેમના પટેલ મતો ના મળે તો હારી જાય.

આદિવાસી વિસ્તારોમાં મહિલાઓનું અને સરવાળે સમગ્ર પણે મતદાન વધુ થયું. સૌરાષ્ટ્રમાં મધ્યમ વર્ગ ઓછો ઉત્સાહી રહ્યો હોય તેમ લાગ્યું. શું પક્ષોના કાર્યકર ઢીલા પડ્યા કે અગાઉની જેમ કામ કરવાનો ઉત્સાહ નહોતો? શું ઉમેદવારોની પસંદગી પણ કારણરૂપ બની હતી?

આ તો કેટલાક તારણો છે. પાંચમીના મતદાનની ટકાવારી પણ મહત્વની બની રહેશે. સામાન્ય રીતે એવુ માનવામાં આવતું હતું કે 70થી 80 ટકા જેટલું મતદાન થશે. બીજો તબક્કો મતદાન વધારીને તેવી પરિસ્થિતિ ઉભી કરી શકે. પહેલા તબક્કામાં જે વાણીવિલાસ થયો તે મત મેળવવાની અને મત ન મેળવી શકવાની અકળામણ બતાવતો હતો. કોંગ્રેસ પ્રમુખ ખડગેનું રાવણ-વિધાન સાવ પ્રલાપ નહોતો, તેની પાછળની ભૂમિકા સામાજિક પણ છે.

ખડગે દલિતવાદની ટેકણલાકડી લઈને કોંગ્રેસ તરફી મતદાન માટે આવું વિધાન કર્યુ, રાવણને પસંદ કર્યો પણ ‘દસ માથા’ને ભૂલીને એક સો માથા ગણાવ્યા! અગાઉ તેમણે એવું પણ કહ્યું હતું કે જો ભાજપ જીતશે તો દેશમાં ‘સનાતન ધર્મ’ ફેલાશે! અને તે દેશ માટે સારા દિવસો નહીં હોય. કોંગ્રેસને પોતાના ‘સેક્યુલરિઝમ’ની નિષ્ફળતાનો વસવસો છે એટલે હવે કાચુ પાકુ સેક્યુલર ચલાવે છે. રાહુલ ગાંધી કપાળે તિલક લગાવીને, મહાકાલની પૂજા કરે તે કેવો રસપ્રદ અહેવાલ કહેવાય! બીજી બાજુ ભારતયાત્રા દરમિયાન એક એવા મિશનરીને ઘરે જઈને મળે જેના પર અગાઉ કેસ થઈ ચૂક્યા છે અને હિન્દુ ધર્મ વિશે અનાપસનાપ બોલે છે.

ગુજરાતમાં આવુ તિકડમ ચાલે તેમ નથી કેમ કે પ્રજા મૂળભૂત રીતે ધાર્મિક આસ્થા ધરાવે છે. રાહુલ આવીને ગયા તે ‘બ્લેક સ્લેટ’ પર અક્ષરો લખાયા અને ભૂંસાયા તેવી મુલાકાત રહી. ‘આપ’ના પ્રદેશ પ્રમુખ સુરતમાંથી ચૂંટણી લડે છે. ત્યાં મતદાન થઈ ગયું હવે ‘આપ’ના ભાવિ મુખ્યમંત્રી ઈસુદાન ગઢવીની ખંભાળિયા બેઠક પર પણ મતદાન થયું. તે જ રીતે એક વર્ષ મુખ્યમંત્રી રહેલા અને અમિત શાહના જાહેર સભાના વચન સાંભળીને હળવું હાસ્ય આપતા ભૂપેન્દ્ર પટેલ પણ ભાવિ મુખ્યમંત્રી છે. તેમને માટે વડાપ્રધાનના ‘નરેન્દ્ર-ભૂપેન્દ્ર’ વિધાનને સમજવું પડશે! એકંદરે ભાજપ જીતી જાય તેવી ધારણા પ્રિ-પોલ સર્વેએ કરી છે તો સત્તાધીશ વતા પાંચ એમ 32 વર્ષ સળંગ રાજ્ય સત્તા ભોગવવાનો આ રેકોર્ડ પશ્ચિમ બંગાળના ડાબેરી મોરચાને આંટી જશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article