ચૂંટણી તો આવશે પણ સંસદ દેકારાનું બજાર જ રહે તો…

|

Aug 20, 2022 | 10:16 PM

લોકસભામાં હાથ ઊંચો કરીને ઈધર-ઉધરના એક્શન કરતા અધીર આદેશોને ન માનવા, વેલ સુધી ધસી જવું એટલે અધ્યક્ષ (આમ તો એમને બિચારા ન કહેવાય. અપમાન ગણાય. પણ હાલના આ ગૃહોમાં અધ્યક્ષની દશા માઠી છે),

ચૂંટણી તો આવશે પણ સંસદ દેકારાનું બજાર જ રહે તો...
Indian Parliament
Image Credit source: File Image

Follow us on

હવે સૌ કોઈ ચૂંટણીમાં(Election) જીતવાની ઉતાવળમાં છે પણ પાછલા દિવસોમાં જે રીતે સંસદગૃહોને તમાશો બનાવી દેવામાં આવ્યો તે જોતા એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો તે પણ ભૂલાવો ન જોઈએ

પ્રશ્ન આ છે: ચૂંટણી તો તેના સમયે થશે પણ તે પછી પણ સંસદ માત્ર હો-હા, દેકારાનું સ્થાન બની રહેશે?

તો પછી આ ચૂંટણીનો અર્થ શું? આ પક્ષોને એમ લાગે છે કે રાજકારણ તીકડમબાજી વિના કેમ ચાલે? આઝાદીના અમૃત મહોત્સવે આપણા મતદારનો હિસાબ-કિતાબ લેવા જેવો છે. ખરેખર તે નાત-જાત-કોમ-સંપ્રદાય-નાણાં-ગુંડાગર્દીના પરિબળોથી તદ્દન મુક્ત થઈને જ મત આપે છે? કે હજુ તેના ઘેરાવામાં જ છે?

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આની સીધી ગણતરી માટે સંસદ કે ધારાસભામાં ડોકિયું કરીએ, એક ગણતરી એવી છે કે સિત્તેર ટકા પ્રતિનિધિઓ તો ઠીક વરતે છે પણ બાકીના છેક છેડે બેસે તેવા ધાંધલ-ધમાલ, બૂમરાણ અને તોફાનો કરે છે. ગમે તેવા વિધેયક પસાર કરવાના હોય, સાંભળે એ બીજા ! બસ, અમને સાંભળો એવું કહીનેય તેઓ સાંભળવાને બદલે પાટલી પર ઊભા થઈ જાય, નાના પાટિયા બતાવે, સામૂહિક નારાબાજી કરે, કેટલાક શૂરાપૂરા છેક અધ્યક્ષની વેલ સુધી ધસી જાય, વિધેયકના કાગળિયા ઉછાળે, કોઈ વળી માઈકને તોડી નાખે…

આવા વરવા દ્રશ્યો પછી અધ્યક્ષ કેટલાકને અમુક દિવસ કે સત્ર પૂરું થાય ત્યાં સુધી બરતરફ કરે તો તેમને માટે ત્યાં સંસદ પરિસરમાં જ મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા હાજર છે, ત્યાં જઈને ‘ધરણાં’ કરે. અગાઉ એકવાર સભાપતિ ડૉ.હરિવંશે ત્યાં જઈને આની ઓફર કરી હતી. હવે તો ખુદ ધરણાકારોના સાથી સભ્યો કાજુ-બદામની કતરી, ગાજરનો હલવો, પકોડા અને જલેબી લાવીને બધાને મોજ કરાવે છે. કોઈ પ્રતિમામાં પ્રાણ પુરાતો નથી એટલે ગાંધીજી પરમ શાંતિથી તેના સાક્ષી બની રહે !, કરે પણ શું? આમાં એક નવો ફણગો ફૂટ્યો. કોંગ્રેસ પક્ષના નેતા છે અધીર રંજન ચૌધરી. કહે છે કે કોઈ સમયે સામ્યવાદી નેતા હતા હવે કોંગ્રેસ નેતા છે.

લોકસભામાં હાથ ઊંચો કરીને ઈધર-ઉધરના એક્શન કરતા અધીર આદેશોને ન માનવા, વેલ સુધી ધસી જવું એટલે અધ્યક્ષ (આમ તો એમને બિચારા ન કહેવાય. અપમાન ગણાય. પણ હાલના આ ગૃહોમાં અધ્યક્ષની દશા માઠી છે), કોઈ સાંભળે નહીં એટલે થોડા કલાકો ગૃહને મુલતવી રાખવામાં આવે. પગલા તરીકે થોડા સભ્યોને એક દિવસ કે સત્ર ચાલુ હોય ત્યાં સુધી ગૃહપ્રવેશ અમાન્ય કરવામાં આવે. તે ‘માનનીય સાંસદો’ બૂમાબૂમ કરતા, સંસદના વિશાળ પરિસરમાં જ્યાં ગાંધીજીની ભવ્ય પ્રતિમા છે તેની નિશ્રામાં દેખાવો કરવા પહોંચી જાય છે !

વિરોધ શબ્દની આખી વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે. 1950માં ‘સાર્વભૌમ લોકતંત્ર’ની ઘોષણા સાથે સંસદીય પ્રથા દાખલ કરવામાં આવી તેની પાછળ જુલાઈ, 1946ના બંધારણ સભાની રચના થઈ તે પ્રત્યક્ષ ચૂંટણી નહોતી પણ પ્રદેશોની એસેમ્બલીમાં દસ લાખ નાગરિકો (મતદારો) દીઠ એક ‘સભ્ય’ ચૂંટવામાં આવ્યો તેની આ સંવિધાન સભા બની. પહેલા 2 સપ્ટેમ્બર, 1946 અંતરિમ કેન્દ્ર સરકાર બની, તેની પહેલી બેઠક 9 સપ્ટેમ્બર, 1946 આજના સંસદ ગૃહના કેન્દ્રીય સભાખંડમાં મળી, બસ ત્યારથી આપણાં સંસદીય લોકશાહીનો રથ ચાલ્યો, હવે કહો કે આ રથ છે કે માટીની ગાડી?

મૃચ્છકટિક હોય તો તેને માટે જવાબદારી કોની? તે સભાનો પહેલો જ વિરોધ મુસ્લિમ લીગે કર્યો, ‘ડાયરેક્ટ એક્શન’ (16 ઓક્ટોબર, 1946) માં લોહિયાળ હત્યાઓ થઈ, બંગાળ-પંજાબમાં તો લોહીની નદીઓ વહી. પછી બ્રિટિશ વડાપ્રધાને જાહેર કર્યું કે ભારતને જૂન 1948 સુધીમાં આઝાદી આપીશું તેને માટે લોર્ડ લુઈસ માઉન્ટબેટનને ગવર્નર બનાવ્યા. તેણે જે દિવસે જાપાને આત્મસમર્પણ કર્યું અને આઝાદ હિંદ ફોઝનો પરાજય થયો એ દિવસ- પંદરમી ઓગસ્ટને-આઝાદી માટેનો પસંદ કર્યો ! સંવિધાન ભારત તેનું પોતાનું અને પાકિસ્તાન તેનું ઘડી કાઢે તેવો ઠરાવ બ્રિટિશ પાર્લામેન્ટે કર્યો હતો, તેમ થયું. તે અનુસાર ભારત સાર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર ઘોષિત થયું, 26 જાન્યુઆરી, 1950. કેવીક સંસદીય લોકશાહી ચાલી છે આપણી? પહેલા જ વિસ્ફોટ 8 એપ્રિલ, 1950ના ‘બંગાળ પેક્ટ’ થી થયો.

ભારત-પાકિસ્તાનના વડાપ્રધાને કરેલા કરાર મુજબ ‘લઘુમતિની સુરક્ષા’ માટેની જોગવાઈ હતી. તે સમજૂતિને તુષ્ટિકરણ ગણાવીને પ્રધાનમંડળમાંથી ઉદ્યોગમંત્રી ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીએ રાજીનામું ધરી દીધું. બીજી ઘટના કોંગ્રેસની ભીતર ‘કોંગ્રેસ લોકશાહી મોરચો’ હતો, તે નહેરૂ-મૌલાના આઝાદે વિખેરી નખાવ્યો તેની વિરોધમાં આચાર્ય જે.બી.કૃપલાણીએ કોંગ્રેસમાંથી જ રાજીનામું આપીને નવો “મઝદૂર કિસાન સંઘ” સ્થાપ્યો. બીજું રાજીનામું કાનૂનમંત્રી ડૉ.આંબેડકરનું ત્રીજું ચિંતામણિ દેશમુખનું.

1952માં પહેલી ચૂંટણી, હવે 2024માં એવી જ ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંઘર્ષો દરમિયાન નવા પક્ષો ઉભા થયા, તૂટ્યા, ગઠબંધનો થયા, અંતરિમ સરકારો આવી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થઈ, ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા. વિધેયક આવ્યા, સંસદમાં ચર્ચા થઈ, બંધારણીય 100થી વધુ સુધારા થયાં, બંધારણની જોગવાઈ હેઠળ 1975-76માં આંતરિક કટોકટી જાહેર થઈ. જેમાં સંસદમાં મુક્ત રીતે ચર્ચા કરતા હતા તેમના સહિત 1,10,000 આગેવાનોને અટકાયતી ધારા હેઠળ જેલભેગા કરાયા, તેમાંના જ કેટલાક, પછીથી વડાપ્રધાન બન્યા તે મોરારજી દેસાઈ, અટલબિહારી વાજપેયી, ચંદ્રશેખર, ચૌધરી ચરણસિંહ અને કટોકટી વિરોધ સંઘર્ષમાં સામેલ રહેલા નરેન્દ્ર મોદી આજે તે પદ પર છે.

37,000 પ્રકાશનો પરની સેન્સરશીપ અને અંધારપછેડાનું સંસદગૃહ: એ બે તે સમયની યાદગાર દુર્ઘટનાઓથી દેશ અને દુનિયામાં સવાલ પૂછાતો થયો કે શું ભારત સંસદીય લોકશાહીને લાયક છે? રહેશે? રહ્યું તો ખરૂ પણ સંસદમાં ધાંધલ-ધમાલના દ્રશ્યો વધ્યા છે. જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે તે જોતા વર્તમાન ચૂંટણીપ્રથા પર પ્રશ્નાર્થ થાય છે. નાત-જાત, કોમ, સંપ્રદાય, નાણાંનો ઉપયોગ ચૂંટણીમાં કેવો અને કેટલો? યાદ છે 2008ની 22મી જુલાઈએ કોંગ્રેસે બહુમતિ મેળની ત્યારે ત્રણ સંસદસભ્યએ ગૃહમાં એક કરોડ રૂપિયાના બંડલ ઉછાળીને કહ્યું કે અમને મતદાનની તરફેણ કરવા માટે આ રકમ આપવામાં આવી છે !

હવે આ કરોડની વાત ભૂલાઈ જાય તેવા પ્રસંગોની ઘટમાળ છે. વિપક્ષ નેતા રાષટ્રપતિને રાષ્ટ્રપત્ની કહે અને પછી તે ‘ભૂલમાં કહેવાયું હતું’ એમ કહેવા રાષ્ટ્રપતિની મુલાકાત માંગેને ઘટનાનો કોઈ રીતે બચાવ હોઈ શકે એ સાચું કે સંસદમાં ધાંધલ-ધમાલ કરનારાઓની સંખ્યા વધારે નહીં હોય. પણ લોકશાહી માટે આ ઝેરના ટીપાં છે તે પૂરો માહોલ વિષાક્ત કરી શકે. અત્યારે આગામી ચૂંટણી સૌની નજરમાં છે પણ સંસદીય લોકશાહી માટે આપણે કેટલાક યોગ્ય છીએ એ સળગતા સવાલનું આત્મમંથન તો કરવું જ પડશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article