સૂતા સમયે સ્વપ્ન (Dreams) જોવું એ આપણા જીવન સાથે જોડાયેલું છે. તેમ છતાં સ્વપ્ન પર આપણું કોઈ નિયંત્રણ નથી, તેથી જ આપણને સારા અને ખરાબ બંને સ્વપ્ન (Dreams) આવે છે. સ્વપ્નમાં જોવામાં આવતા દ્રશ્યોમાં કેટલાક આપણા જીવન સાથે જોડાયેલા હોય છે. સપના વિશે સરળ બાબતો વિશે કહેવાની કોઈ ખાસ જરૂર નથી, કારણ કે તમે પણ સ્વપ્ન (Dreams) જોતા જ હશો.
રાત્રે સૂતા સમયે તમે જે સ્વપ્ન જુઓ છો તેમાંથી મોટાભાગના સ્વપ્ન સવારે જાગતાની સાથે ભૂલી જવાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે જોયેલા કુલ સ્વપ્નમાંથી લગભગ 90 ટકા સ્વપ્ન યાદ રહેતા નથી અને ભૂલી જવાય છે. પરંતુ શા માટે આપણે મોટાભાગના સ્વપ્ન ભૂલીએ છીએ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.
સૂતી વખતે આપણે રેપિડ આઈ મૂવમેંટમાંથી પસાર થઈએ છીએ
વૈજ્ઞાનિકોએ સ્વપ્ન વિશે ઘણા સંશોધન અને અભ્યાસ કર્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આપણે ઉંઘ દરમિયાન ઘણી વખત રેપિડ આઇ મૂવમેન્ટ (REM) થી પસાર થઈએ છીએ અને આ સમય દરમિયાન આપણને સ્વપ્ન આવે છે. આ મૂવમેંટ ઉંઘના 10 મિનિટ બાદ શરૂ થાય છે. ખરેખર, આરઇએમ (REM) દરમિયાન સૂતા સમયે આપણું મગજ સંપૂર્ણ રીતે શાંત થતું નથી અને સક્રિય સ્થિતિમાં રહે છે.
આ સમયે મનમાં કેટલીક વાતો ચાલે છે અને આ જ કારણ છે કે, આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ. રાત્રે સૂઈ ગયા બાદ દર દોઢ કલાકના અંતરાલ બાદ આપણે આરઈએમમાં (REM) હોઈએ છીએ. આરઇએમનો સમયગાળો લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન જ આપણને વિવિધ પ્રકારનાં સ્વપ્ન આવે છે.
આ કારણથી લોકોને સ્વપ્ન યાદ નથી રહેતા
અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ઉંઘને લઈ અભ્યાસ કરનારા રોબર્ટ સ્ટીકગોલ્ડે જણાવ્યું હતું કે ઘણા લોકો સ્વપ્નમાં જોયેલા દ્રશ્યો ભૂલી જાય છે, જ્યારે ઘણા લોકો એવા પણ છે જેમને તેમના સ્વપ્ન યાદ રહે છે. સ્ટીકગોલ્ડના મત મુજબ, આ બે પરિસ્થિતિઓ પાછળ જુદા જુદા કારણો છે. રોબર્ટ સ્ટીકગોલ્ડના જણાવ્યા અનુસાર, જે લોકો નિશ્ચિત સમયે સૂઈ જાય છે અને એલાર્મ બાદ જાગી તરત જ ઓફિસ જવાની તૈયારીમાં લાગી જાય છે, આવા લોકો સ્વપ્ન યાદ રહેવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.
બીજી બાજુ જે લોકોને વધારે કામ નથી અને સવારે જાગી ગયા બાદ પણ સૂઈ રહે છે, તેવા લોકોમાં સ્વપ્ન ભૂલી જવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. તમને જણાવી દઈએ કે ઘણા અહેવાલોમાં એમ કહેવામાં આવે છે કે જે લોકો સ્વપ્નને ભૂલી જાય છે, તે માનસિક રીતે સ્વસ્થ હોય છે. જ્યારે ઘણા લોકોને સ્વપ્ન યાદ રહે છે તેઓ માનસિક નાદુરસ્ત હોઈ શકે છે.