વિજય અમૃતા કુલાંગેએ UPSC પરીક્ષા પાસ કર્યા બાદ, ઓડિશાના (Odisha) ગંજમ (Ganjam) જિલ્લા ખાતે કલેકટર (Collector) બન્યા છે. સામાન્ય માણસની સેવા કરવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વિજયનું કહેવું છે કે, “અમે ગરીબીમાં જીવતા હતા. જો હું તબીબી વ્યવસાય પસંદ કરત તો તેમાં કારકિર્દી બનાવવા માટે 7-8 વર્ષોની જરૂર હતી, જે મને પોસાય તેમ ન હતું. મારી એક નાની બહેન હતી, અને મારા માતા-પિતા તેના લગ્ન વિશે ચિંતિત હતા. મારી કોઈપણ નિષ્ફળતાનો અર્થ મારા પરિવાર માટે આપત્તિ જ હોત.”
વિજયનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રેલાગણ ગામ ખાતે થયો હતો. વિજયના પિતા સામન્ય દરજીકામ કરતાં હતા અને માતા એક ખેત મજૂર હતી. માત્ર 200 રૂપિયા તેમણે દૈનિક મજૂરી બદલ મળતા. વિજયનું બાળપણથી માત્ર એક જ સપનું હતું કે તેમના માતા- પિતાની આ મુશ્કેલીઓ ઓછી થાય અને તેમના આદર્શો, સંસ્કારોનું પાલન કરી શકે. તેમને ડૉક્ટર બનવાની મહેચ્છા હતી, પરંતુ પરિવારની અતિ નબળી પરિસ્થિતિને કારણે તેમણે આ ઇચ્છાને દબાવી દીધી હતી.
વિજયે ડિપ્લોમા ઇન એજ્યુકેશન પૂર્ણ કર્યું અને છ મહિના બાદ નેવાસા તાલુકાની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા. પરંતુ વિજયને હંમેશા લાગતું હતું કે તે વધુ હાંસલ કરી શક્યો હોત. તેના પિતાએ પણ વિજયના મનમાં સતત રહેતો આ વિચાર અનુભવ્યો અને તેમને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા પ્રોત્સાહિત કર્યા.
“મારા પિતા મને કહેતા કે પરીક્ષા માટે ભણવામાં ક્યારેય ખોટ નથી. જો હું લાયક ઠરીશ અને વધુ સારી નોકરી મેળવીશ, તો તે સારું રહેશે. પરંતુ જો મેં તેમ ન કર્યું હોય તો પણ, મારી વર્તમાન નોકરી હોવા છતાં મેં અમૂલ્ય જ્ઞાન મેળવ્યું છે. આ જ્ઞાન મને વધુ સારા શિક્ષક બનવામાં પણ મદદ કરશે”, વિજય આગળ જણાવે છે.
વિજય પ્રથમ બે પ્રયાસોમાં, પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જતાં સ્વાભાવિક રીતે તે નિરાશ થયા હતા, પરંતુ તેમના માતા-પિતાએ તેમના આત્મવિશ્વાસને ક્યારેય ઓછો થવા દીધો નહીં. જ્યારે તેમણે ત્રીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી અને અહમદનગરમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા ત્યારે આ મહેનતનુ સુંદર ફળ તેમણે મળ્યું.
IAS ઓફિસર તરીકે વિજયનું પ્રથમ પોસ્ટિંગ ઓડિશાના ઢેંકનાલ (Dhenkanal) જિલ્લામાં થયું હતું. તેમણે એક મરાઠી પુસ્તક ‘આજચા દિવસ માઝા’ લખી છે. કોવિડ-19 મહામારી દરમિયાન, વિજયે ગંજમના કલેક્ટર તરીકે ગંજમ શહેરની કાયાપલટ કરી નાખી હતી.
“આ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય કામદારો સુરત અને મુંબઈમાં કામ કરે છે. ભારતમાં કોવિડ-19 મહામારીની પ્રથમ લહેર દરમિયાન, આવા 4 લાખ લોકો ઘરે પરત ફર્યા હતા. અમે આ દરેક પરત આવનારને ફરજિયાત કોરોના ટેસ્ટિંગ, ફૂડ પેકેટ્સ, સેનિટાઈઝર અને પરિવહન સેવા આપવાની શરૂ કરી. 5 કે તેથી વધુ લોકોના મેળાવડાને પ્રતિબંધિત કરવા માટે કલમ 144 જાહેર કરનાર ભારતના પ્રથમ જિલ્લાઓમાં ગંજમ હતો.”
આ તમામ પગલાંથી ગંજમ જિલ્લાને લગભગ બે મહિના સુધી કોવિડ-19થી મુક્ત રહેવામાં મદદ કરી હતી. વિજય અને તેમની ટીમ દ્વારા 15 દિવસમાં 50 ICU પથારીઓ સાથે 200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી, અને અન્ય 3 કોવિડ-19 હોસ્પિટલો, 8 કોવિડ કેર સેન્ટર્સ અને 20000 લિટર લિક્વિડ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. 35 લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં ડોર-ટુ-ડોર સ્ક્રીનીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફરજ બજાવતા દરેક ફ્રન્ટલાઈન વર્કરના પરિવારને 50 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
ગત વર્ષ, મે 2021માં જ્યારે ચક્રવાતી વાવાઝોડું યાસ (Cyclone Yaas) ગંજમ પર ત્રાટક્યું ત્યારે પણ, વિજયે સમયસર કોવિડ -19 દર્દીઓ અને આશ્રિતો માટે ઓક્સિજન, હોસ્પિટલના પલંગ અને ડોકટરોની પૂરતી સપ્લાય સાથે સજ્જ તંત્ર બનાવ્યું હતું.
વિજયે એક પહેલ પણ શરૂ કરી છે, જેના હેઠળ બાળલગ્ન વિશે ટિપ-ઓફ આપનારને 5,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે; અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ વિચારને જબરદસ્ત સફળતા મળી અને થોડા મહિનામાં 38 બાળલગ્નો અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજયે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને હાઇડ્રેટેડ રહેવા અને વારંવાર પીવાનું પાણી પીવાની આદત બનાવવા માટે ‘જલા ઘંટી’ (વોટર બેલ) પહેલ પણ શરૂ કરી.
આ ઉપરાંત, વિજયે પાક વૈવિધ્યકરણ અને મલ્ચિંગ, ભેજ સંરક્ષણ, સૂક્ષ્મ સિંચાઈ અને તાલીમ દ્વારા ખેતીની આવક વધારવા માટે TARA યોજના પણ શરૂ કરી છે. કોવિડ-19 મહામારી દરમિયાન ગંજમ જિલ્લામાં સીમાંત ખેડૂતોને તેમની કમાણી સુધારવામાં મદદ કરવા માટે રૂ. 50 કરોડથી વધુના MGNREGS ભંડોળનો ઉપયોગ કર્યો હતો.
આ ઉપરાંત, તેમણે ‘રાજસ્વ રથ’ સેવા પણ શરૂ કરી છે, જે જમીનના રેકોર્ડને અપડેટ કરવા અને લોકોને ઘર-ઘર સુધી પ્રમાણપત્રો આપવાની સેવાઓ આપે છે. ઓડિશાના તમામ જિલ્લા કલેક્ટરોને હવે ગંજમના ઉદાહરણનું અનુકરણ કરવા અને આ વિચારને અમલમાં મૂકવાનું રાજય સરકાર તરફથી સૂચન અપાયું છે. વિજય એ આજના યુવાનો માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ છે, અને તેના અથાગ પ્રયત્નો થકી આજે ઓડિશાના ગંજમ જિલ્લાની કાયાપલટ થઈ ચૂકી છે.
વિજય એક સારી ભાવનવાળી વ્યક્તિ હોવાની સાથે, ઉચ્ચ આદર્શવાદી કર્મચારી પણ છે. તેઓ તેમના ટ્વિટર હેન્ડલ પર પણ નેચર, બર્ડ્સને લગતી સ્ટોરી મુક્ત રહે છે. વિજય જેવા લોકો થકી જ એક નુતન, અખંડ અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ શકશે.
You can identify me😅Standing with my students. It’s trip to Konjai Hill nearby the Dattawadi School, where I was working as a primary teacher. We use to go for trip in month of Shravan. Just was going with old album. pic.twitter.com/YvgyQuh5Ju
— Vijay IAS (@Vijaykulange) August 13, 2021
આ પણ વાંચો – Russia Ukraine War: રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝ પર કર્યો મોટો હુમલો, ગોળીબારમાં 70થી વધુ સૈનિકો માર્યા ગયા
Published On - 6:34 am, Wed, 2 March 22