ટ્રેનના વાતાનુકૂલિત એટલે કે AC કોચમાં મુસાફરી કરનારા સમૃદ્ધ લોકો પર એક ગંભીર આરોપ લાગ્યો છે અને તે છે ચોરીનો આરોપ. એક રેલવે અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે 2017-18 નાણાંકીય વર્ષમાં ટ્રેનના AC ડબ્બાઓમાંથી લાખો ટુવાલ, ચાદર અને ધાબળા ગાયબ થવાની ઘટના સામે આવી છે.
પાછલા નાણાંકીય વર્ષમાં દેશભરની ટ્રેન્સના AC કોચીસમાંથી આશરે કુલ મળીને 21,72,246 જેટલા ટુવાલ, ચાદરો અને ધાબળાઓની ચોરી થઈ જેમાં…
12,83,415 ટુવાલ
4,71,077 ચાદર
3,14,952 તકિયાના કવર
56,287 તકિયા
46,515 ધાબળાનો સમાવેશ થાય છે.
રેલ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું, “ગાયબ થયેલા આ સામાનની કુલ કિંમત રૂપિયા 14 કરોડ જેટલી થાય છે.”
આટલું જ નહીં, શૌચાલયોમાંથી મગ, ફ્લશ પાઈપ તેમજ અરીસાની ચોરી થવાના અહેવાલો પણ નિયમિત રીતે આવતા હોય છે. ચોરીની આ ઘટનાઓને લઈને રેલ વિભાગને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વર્તમાન સમયમાં એસી ડબ્બાઓમાં દરરોજનું 3.9 લાખ લિનન મુસાફરોને પૂરું પાડવામાં આવે છે જેમાં પ્રત્યેક સેટમાં 2 ચાદર, એક ટુવાલ, એક તકિયો અને એક ધાબળો હોય છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું,
“કોચ સહાયકોએ આપેલી માહિતી પ્રમાણે સફરના અંતે મુસાફરો સૌથી વધુ ટુવાલ અને ત્યારબાદ ચાદર ચોરીને લઈ જાય છે. અને એટલે રેલવેએ નિર્ણય લીધો કે એસી કોચમાં સફર કરતા મુસાફરોને સસ્તા, નાના અને એક વાર ઉપયોગ કરીને ફેંકી શકાય તેવા નેપકિન જ આપવામાં આવે.”
ભારતીય રેલના વિવિધ ઝોનમાં થયેલી આ પ્રકારની ચોરીના આંકડા જોઈએ તો…
દક્ષિણ ઝોન
2,04,113 ટુવાલ
29,573 ચાદર
44,868 તકિયાના કવર
3,713 તકિયા
2,745 ધાબળા
દક્ષિણમધ્ય ઝોન
95,700 ટુવાલ
29,747 ચાદર
22,323 તકિયાના કવર
3,352 તકિયા
2,463 ધાબળા
ઉત્તર ઝોન
85,327 ટુવાલ
38,916 ચાદર
25,313 તકિયાના કવર
3,224 તકિયા
2,483 ધાબળા
પૂર્વ ઝોન
1,31,313 ટુવાલ
20,258 ચાદર
9,006 તકિયાના કવર
1,517 તકિયા
1,913 ધાબળા
Published On - 9:27 am, Fri, 16 November 18