શા માટે ફાટે છે વાદળ, કેટલી ઘાતક હોય છે આ ઘટના? જાણો
વાદળ ફાટવાની પરિસ્થિતિમાં ખૂબ જ ઓછા સમયમાં ઘણો જ વધારે વરસાદ પડી જાય છે. આ દરમિયાન ક્યારેક કરા પણ પડે છે અને વાવાઝોડું આવે છે.
બુધવારે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના કિશ્તવાડમાં છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી કુદરતી આફત આવી હતી. અહીં ગુલાબગઢ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત થયા અને કેટલાક લોકો ગુમ છે, ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોની સંખ્યા 19 છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. વાદળ ફાટવું, જેને અંગ્રેજીમાં ક્લાઉડ બર્સ્ટ કહેવામાં આવે છે, તેને મોટી કુદરતી આપત્તિ માનવામાં આવે છે, આ ઘટનામાં થોડા કલાકોમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ વાદળો કેમ ફાટે છે? ચાલો તમને જણાવીએ.
ખૂબ જ ઓછા સમયમાં પડે છે ભારે વરસાદ
વાદળ ફાટવાની પરિસ્થિતિમાં ખૂબ જ ઓછા સમયમાં ઘણો જ વધારે વરસાદ પડી જાય છે. આ દરમિયાન ક્યારેક કરા પણ પડે છે અને વાવાઝોડું આવે છે. સામાન્ય રીતે વાદળ ફાટવાને કારણે થોડીવારમાં એટલો ઝડપી વરસાદ પડે છે કે કેટલાક કિલોમીટરના વિસ્તારમાં થોડીવારમાં જ પૂરની સ્થિતિ હોય છે. એવું માનવામાં આવે છે કે વાદળ ફાટવાની ઘટના સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 15 કિમીની ઉંચાઈએ થાય છે. જો વરસાદ લગભગ 100 મીમી પ્રતિ કલાકની ઝડપે પડે તો તે સ્થિતિને વાદળ ફાટવું કહે છે.
વાદળ ફાટવાની ઘટનાને નથી માનતા વૈજ્ઞાનિકો
2 સેમીથી વધુ વરસાદ માત્ર થોડીવારમાં જ પડી જાય છે. આ કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે વિનાશ જોવા મળે છે. જો કે, વૈજ્ઞાનિકો વાદળ ફાટવા જેવી ઘટનાને ધ્યાનમાં લેતા નથી. તેઓ માનતા નથી કે વાદળ ક્યારેય ફુગ્ગાની જેમ ફૂટે છે, આવું કશું જ થતું નથી.
વૈજ્ઞાનિકો માને છે કે થોડીવારમાં ભારે વરસાદ પડવાની સ્થિતીને લોકો વાદળ ફાટવાની ઘટના સમજે છે. હવામાન વિભાગ મુજબ જ્યારે વાદળોમાં ઘણું ભેજ હોય છે. જ્યારે તેમની આ સ્થિતિમાં અવરોધ આવે છે, ત્યારે ઘનીકરણની પ્રક્રીયા(condensation) ખૂબ ઝડપી બને છે. આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત અને મર્યાદિત વિસ્તારમાં એક સાથે અનેક લાખ લિટર પાણી પૃથ્વી પર વરસે છે. તેના કારણે તે વિસ્તારમાં ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
જ્યારે વાદળ ફૂટે ત્યારે શું થાય છે તે વીડિયોમાં જુઓ …
કેદારનાથમાં પણ બની હતી વાદળ ફાટવાની ઘટના
ભારતના ભુગોળને ધ્યાને લઈએ તો ચોમાસાની ઋતુમાં ભેજથી ભરેલા વાદળો ઉત્તર તરફ આગળ વધે છે, ત્યારે હિમાલયના પર્વતો તેમના માર્ગમાં એક મોટા અવરોધ તરીકે વચ્ચે આવે છે. જ્યારે ગરમ હવાના ભેજથી ભરેલા વાદળો આ પર્વત સાથે ટકરાય છે. આવી પરિસ્થીતીમાં વાદળ ફાટવાની પરિસ્થિતી સર્જાઈ શકે છે. વર્ષ 2005માં મુંબઈમાં વરસાદ સિવાય 18 જુલાઈ 2009ના રોજ કરાંચી, પાકિસ્તાનમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. તે સમયે માત્ર બે કલાકમાં 250 મીમી વરસાદ નોંધાયો હતો.
6 ઓગસ્ટ 2010ના રોજ લેહમાં એક પછી એક અનેક વાદળો ફાટ્યા હતા, જેના કારણે લગભગ આખું એક શહેર નાશ પામ્યું હતું. આ ઘટનામાં 115 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ પછી વર્ષ 2013માં 16 અને 17 જૂને કેદારનાથમાં વાદળ ફાટ્યું હતું, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો : Cloudburst in Kishtwar: કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન યથાવત, IAF દ્વારા 74 લોકોનું ઓપરેશન કરાયુ, અત્યાર સુધીમાં 7માં મોત