દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની (President Election) પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. જે અંતર્ગત આજે ગુરુવારે એટલે કે 21મી જુલાઈએ ભારતના નવા રાષ્ટ્રપતિ (President ) ચૂંટાયેલા જાહેર થશે. રાષ્ટ્રપતિની ચૂંટણીની મત ગણતરી માટે સંસદમાં મોટા પાયે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એવી ધારણા છે કે ગુરુવારે બપોર સુધીમાં દેશ અને દુનિયાના લોકો ભારતના નવા રાષ્ટ્રપતિના નામ વિશે સત્તાવાર જાણી શકશે. રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) અને વિપક્ષના એક સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) હતા. આ બે પૈકી એકના નામ પર રાષ્ટ્રપતિ તરીકે અંતિમ મહોર લાગવાની તૈયારી છે. જો કે દેશના 15મા રાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે અટકળો અને ચર્ચાઓનું બજાર અત્યારથી જ ગરમ છે. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે દ્રોપદી મુર્મુ સૌથી વધુ મત મેળવીને દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે.
દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જૂન મહિનાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જે અંતર્ગત 16 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 18 જુલાઈએ, દેશની તમામ વિધાનસભાઓ અને સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આ મતોની ગણતરી આજે 21 જુલાઈએ થવાની છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુરુવારે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી માટે સંસદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે સંસદ ભવનનાં રૂમ નંબર 63માં મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ સાથે જ ચૂંટણીની ગંભીરતાને જોતા સંસદ ભવનનાં રૂમ નંબર 63ને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા 19 જુલાઈએ જ તમામ રાજ્યોની વિધાનસભાઓમાંથી બેલેટ પેપર ચુસ્ત સુરક્ષા વચ્ચે સંસદ ભવન લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મતગણતરી પુરી થવાની સાથે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
દેશના 15માં રાષ્ટ્રપતિ માટે દ્રૌપદી મુર્મુ અને યશવંત સિંહા વચ્ચે સીધો મુકાબલો છે. વાસ્તવમાં દૌપદ્રી મુર્મુને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે તમામ વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા હતા. જો કે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાના ભાજપના અભિયાનને ઘણા વિરોધ પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. જે અંતર્ગત ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોવાની આશંકા છે.
આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 99 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના ડેટા અનુસાર, કુલ 4,796 મતદારોમાંથી 99 ટકાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું છે. જેમાંથી 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 100% મતદાન થયું હતું.