આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ કેરળમાં તેના નિર્ધારિત સમયગાળા પહેલા બેસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ અને પૂર્વના કેટલાક રાજ્યોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટિ શરૂ થઈ ચૂકી છે. આ સંજોગોમાં ધીરે ધીરે દેશમાં તાપમાનમાં ફેરફાર થશે અને કેરળમાં ચોમાસું (Monsoon) પ્રવેશ્યા બાદ તે બીજા રાજ્યોમાં પણ પ્રવેશ કરશે. જોકે હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસાના વહેલા આગમનની સંભાવના છે. દિલ્લીમાં આગામી ચાર-પાંચ દિવસમાં તાપમાનનો પારો વધીને 41 ડિગ્રી સેલ્સિયસ થવાની સંભાવના છે, પરંતુ આગામી એક સપ્તાહ સુધી લૂનો અનુભવ થાય તેવી કોઈ શક્યતા નથી.
ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના હોવાથી ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે માછીમારોને આજથી ત્રણ દિવસ સુધી અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે આવી કોઈ ચેતવણી નથી, IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “27 થી 29 મે, 2022 સુધી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. 27 થી 29 મે 2022 સુધી, માછીમારોને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે આવેલા દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે. કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કાંઠે કામ કરતા માછીમારો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી આગઝરતી ગરમીથી રાહત મળી છે. મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે. તો દિલ્લીમાં તાપમાનનો પારો ઉંચકાયો હોવા છતાં ગરમીથી રાહત છે અને આજે પણ તાપમાન 40થી નીચે રહેવાની સંભાવના છે. આવતીકાલથી ગરમીનો પારો ઉંચકાશે, પરંતુ આગામી એક સપ્તાહ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી. તો બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું છ દિવસ રોકાયા પછી શ્રીલંકા પહોંચી ગયું છે, હવે કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને તે વહેલું પહોંચવાની સંભાવના છે.
દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ પારો ગગડી રહ્યો છે અને અહીં પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી નીચે રહેવાની શક્યતા છે. પ્રયાગરાજમાં પણ મહત્તમ તાપમાન 40 એટલે કે 39 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે અને અહીં પણ તાપમાન નીચું રહ્યું છે
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. અનેક જગ્યાએ પ્રિ-મોન્સુન વરસાદ થયો છે. મરાઠવાડા, વિદર્ભ સહિત અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં વધુ ભારે વરસાદ પડશે.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના જે 13 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે તેમાં મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, જલગાંવ, સાંગલી, કોલ્હાપુર, પાલઘર, ધુલે, નંદુરબાર, યવતમાલ, અહમદનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું છ દિવસ રોકાયા બાદ શ્રીલંકા પહોંચી ગયું છે અને હવે કેરળ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે, “દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી 48 કલાકમાં તે લક્ષદ્વીપના નજીકના ભાગો માલદીવ પહોંચે તેવી અપેક્ષા છે.
Published On - 7:46 am, Fri, 27 May 22