અમે સખત મહેનત કરનાર છીએ, તમારી જેમ રીલ બનાવનારા નહીં – લોકસભામાં વિપક્ષ પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના ચાબખા

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જો આપણે રેલવેમાં ભરતીની વાત કરીએ તો યુપીએના કાર્યકાળ દરમિયાન 2004 થી 2014 સુધી રેલવેમાં માત્ર 4 લાખ 11 હજાર કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, જ્યારે 2014 થી 2024 સુધીના NDAના 10 વર્ષના શાસનકાળ દરમિયાન 5 લાખ 2 હજાર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.

અમે સખત મહેનત કરનાર છીએ, તમારી જેમ રીલ બનાવનારા નહીં - લોકસભામાં વિપક્ષ પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના ચાબખા
Ashwini Vaishnav, Railway Minister
Image Credit source: PTI
| Edited By: | Updated on: Aug 01, 2024 | 7:05 PM

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, અમે મહેનતુ લોકો છીએ, તમારી જેમ અમે રીલ્સ બનાવીને બતાવનારા લોકો નથી. રેલવેની સુરક્ષા અંગે તેમણે જણાવ્યું હતું કે, રેલવેમાં સુરક્ષાની કવચ સિસ્ટમનું આધુનિક સંસ્કરણ દેશના રેલવે નેટવર્કના પ્રત્યેક કિલોમીટર પર સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે અને તેમાં કોઈ કસર છોડવામાં નહીં આવે. યુપીએના સમયકાળ કરતા પણ અમારા શાસનકાળમાં રેલવેમાં યુવાનોને વધુ રોજગારી આપવામાં આવી છે.

રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળના વિવિધ વિભાગની અંદાજપત્ર પરની અનુદાનની માંગ પર છેલ્લા બે દિવસથી લોકસભામાં ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા રેલવે મંત્રી વૈષ્ણવે કહ્યું, “અમે રીલ બનાવનારા લોકો નથી. અમે સખત મહેનત કરનારા લોકો છીએ, તમારી જેમ રીલ બનાવીને લોકોને બતાવનારા નથી.

લોકો પાઇલોટ્સ વિશે, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે “લોકો પાઇલોટ્સ, સરેરાશ કામ અને આરામનો સમય વગેરે સંબંધિત તમામ બાબતો રેલવે એક્ટ હેઠળ 2005માં બનેલા નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારપછી 2016માં આ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને લોકો પાયલટોને વધુ સુવિધાઓ આપવામાં આવી હતી.

‘યુપીએના સમયમાં ભરતીમાં ઘટાડો થયો’

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તમામ 558 રનિંગ રૂમ એર કન્ડિશન્ડ યુક્ત છે. લોકોમોટિવ કેબ્સ ખૂબ વાઇબ્રેટ થાય છે અને ખૂબ જ ગરમ થઈ જાય છે. તેથી, 7,000 થી વધુ લોકો પાઈલટની કેબિનને એર-કન્ડિશન્ડ કરવામાં આવી છે અને તેને અર્ગનોમિક ડિઝાઇન આપવામાં આવી છે. 2014 પહેલા સત્તામાં બેઠેલા લોકોએ, આ લોકો પાયલોટ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હોત તો સારું થાત. જે લોકો આજે રીલ બનાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના સમયમાં આ બધુ ઝીરો હતુ. લોકો પાયલટ માટે કોઈ સુવિધાઓ જ નહોતી.

રેલવેમાં ભરતીનો ઉલ્લેખ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “જો આપણે રેલવેમાં ભરતીની વાત કરીએ તો, યુપીએના કાર્યકાળ દરમિયાન, 2004 થી 2014 સુધી રેલ્વેમાં માત્ર 4 લાખ 11 હજાર કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, જ્યારે 2014 થી 2024 સુધીના એનડીએના આ 10 વર્ષના શાસનમાં કર્મચારીઓની ભરતી 5 લાખ 2 હજારને પાર થઈ છે.

તેમણે કહ્યું કે રેલવે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર હોવું જોઈએ, અમે તેને જાન્યુઆરી 2024માં જાહેર કર્યું છે. રેલવેમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે હવે વર્ષમાં ચાર વખત (જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર) ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવે છે. હજુ પણ 40,565 જેટલી ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તેમની ભરતી થવાની છે. જેનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.