Uttarakhand Corona Update : ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં યુવા વર્ગ વધુ સંક્રમિત થયો છે. છેલ્લા ઘણા દિવસથી ભારતમાં કોરોનાના કેસની (Corona Case ) સંખ્યામાં ઘટાડો થયો છે. ઘણા રાજ્યમાં કોરોનાના દર્દીઓ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
કોરોનાના કેસ ઘટતા બીજી લહેર પુરી નથી થઇ. પરંતુ એક્સપર્ટનું માનીએ તો કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ શકે છે. કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ વચ્ચે ઉત્તરાખંડ (Uttarakhand) રાજ્ય સરકારે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.
ઉત્તરાખંડ રાજ્ય સરકારના આંકડા મુજબ 2021 માં 1 મેથી 20 મે સુધી 9 વર્ષથી નાની ઉંમરમાં 2044 બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તો 10 થી 19 વર્ષના 8661 બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય સચિવ અમિત નેગીએ જાણકારી આપતા કહ્યું હતું કે, છેલ્લા 20 દિવસમાં 1,22,949 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ આંકડો ઉત્તરાખંડ જેવા રાજ્ય માટે બહુ વધારે છે.
બરફના પહાડો વચ્ચે આવેલા જિલ્લામાં કોરોનાનો ખતરો સૌથી વધુ છે. સરકારી આંકડા અનુસાર, 1 મેથી 19 મે સુધી 9 પર્વતીય જિલ્લામાં કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. જે રાજ્યમાં કુલ કેસના 27.6 ટકા છે. પર્વતીય જિલ્લામાંકોરોનાથી થતા મૃત્યુદરમાં પણ વધારો થયો છે. રાજ્યમાં 1 મેથી 19 મે સુધી કોરોનાથી મૃત્યુ પામનાર લોકો પૈકી 19 ટકા લોકો પર્વતીય જિલ્લાના છે.
રાજ્યમાં કોરોના સાથે બ્લેક ફંગસના (Black Fungus) દર્દીઓ પણ વધી રહ્યા છે. રાજ્યની તીરથ સરકારે શનિવારે તેને મહામારી જાહેર કરી દીધી છે. બીજી બાજુ રાજ્યમાં બ્લેક ફંગસની દવાઓની અછત પણ જોવા મળી છે. કેન્દ્રની ટિમ ઉત્તરાખંડની મુલાકાતે જતા બ્લેક ફંગસની દવાઓની અછત પુરી કરવા માગ કરી છે.
છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડમાં 2903 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. જયારે છેલ્લા 2 કલાકમાં 64 લોકોના મોત નિપજ્યા હતા. રાહતની વાત એ છે કે, ઉત્તરાખંડમાં છેલ્લા 2 કલાકમાં 8164 લોકો સ્વસ્થ થયા હતા.