શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને MNS પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથેસાથે રાજકીય કટાક્ષ વધી રહ્યા છે. લાઉડસ્પીકર વિવાદ બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. સીએમએ કહ્યું, ‘એક મુન્નાભાઈ શાલ પહેરીને પોતાને બાલ ઠાકરે સમજે છે.’ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે BKC મેદાનમાં રેલીને સંબોધિત કરી હતી. તેમનું નિશાન મુખ્યત્વે રાજ ઠાકરે હતા, રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર રાજ્યમાં લાઉડ સ્પીકર (Loudspeaker) વિવાદ પર ઉદ્ધવ સરકારની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. તેમના ભાઈ રાજ ઠાકરે પર કટાક્ષ કરતા સીએમ ઉદ્ધવે કહ્યું, ‘લગે રહો મુન્નાભાઈ’.
‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અભિનેતા (સંજય દત્ત) આ તસવીરમાં મહાત્મા ગાંધીની તસવીર જુએ છે. મુન્નાભાઈ વિચારવાનું શરૂ કરે છે કે તેઓ મહાત્મા ગાંધી સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના અંતે ખબર પડે છે કે તે ‘કેમિકલ લોચા’નો કેસ છે. અમારે અહીં પણ ઘણા મુન્નાભાઈ છે, જેઓ વ્હેમમાં ફરતા હોય છે.
રાજ ઠાકરેનું નામ લીધા વિના સીએમ ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પણ આવો કિસ્સો છે. અહીં મુન્નાભાઈ પોતાને બાળાસાહેબ ઠાકરે (શિવસેનાના સ્થાપક) માને છે. શાલ પહેરે છે. હનુમાન જયંતિ પર મહા આરતી કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કેસરી શાલ પહેરેલા રાજ ઠાકરેની ઝાટકણી કાઢી હતી. સ્વ. બાળ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રેલીમાં સીએમ ઠાકરેએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2017 થી 2022 વચ્ચે બે કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. તમામ રાજકીય પક્ષોએ આ હકીકતની નોંધ લેવી જોઈએ.
મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ અને તેના વિરુદ્ધ આંદોલન બાદ MNS કાર્યકર્તાઓ રાજ ઠાકરેને ‘હિંદુ જનનાયક’ માનવા માંડ્યા છે. રાજ ઠાકરેએ એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાના કેન્દ્ર સરકારના ઈરાદાને પણ સમર્થન આપ્યું છે.
Published On - 9:55 am, Sun, 15 May 22