ભારતીય વાયુસેના (IAF)સોમવારે ‘મેક ઇન ઇન્ડિયા‘ હેઠળ ભારતમાં તૈયાર કરાયેલા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ (LCH)ની પ્રથમ બેચને સામેલ કરશે. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે તે માત્ર એર-ટુ-એર યુદ્ધમાં જ સક્ષમ નથી, પરંતુ તે યુદ્ધ દરમિયાન ઓછી ગતિના એરક્રાફ્ટ, ડ્રોન અને આર્મર્ડને પણ નષ્ટ કરી શકે છે. આ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)દ્વારા વિકસાવવામાં આવ્યા છે. ખાસ કરીને તેને પર્વતીય વિસ્તારોમાં તૈનાત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં જોધપુરમાં એક સમારોહમાં તેને ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 5.8 ટન વજની બે એન્જિનવાળા હેલિકોપ્ટરનું સફળ પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. વાસ્તવમાં, ગયા માર્ચમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ રૂ. 3,887 કરોડના ખર્ચે 15 સ્વદેશી રીતે વિકસિત લિમિટેડ સિરીઝ પ્રોડક્શન (LSP) LCH ખરીદવાની મંજૂરી આપી હતી. ત્યારે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે 10 હેલિકોપ્ટર ભારતીય વાયુસેના માટે અને પાંચ ભારતીય સેના માટે હશે.
અધિકારીઓનું કહેવું છે કે એલસીએચ લાઇટ અને અંધારામાં પણ હુમલો કરવા સક્ષમ છે. તેની વિશેષતા એ છે કે તે યુદ્ધ દરમિયાન પોતાનો બચાવ કરતી વખતે દુશ્મનના હવાઈ સંરક્ષણને નષ્ટ કરવામાં પણ અસરકારક છે. એલસીએચને લદ્દાખ જેવી ઊંચાઈએ પણ તૈનાત કરી શકાય છે, કારણ કે તે પર્વતો પર બનેલા બંકરોને નષ્ટ કરવામાં માહિર છે. આ સિવાય રહેણાંક વિસ્તારો તેમજ જંગલોમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તેનો ઉપયોગ કરી શકાય છે. અધિકારીઓએ કહ્યું કે તે ભારતીય વાયુસેના અને ભારતીય સેનાની ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક શક્તિશાળી માધ્યમ હશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એલસીએચમાં ગ્લાસ કોકપિટ અને કમ્પોઝિટ એરફ્રેમ સ્ટ્રક્ચર જેવી કેટલીક મુખ્ય ઉડ્ડયન તકનીકોને સ્વદેશીકૃત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં તેની નવી એડિશન આવશે. ઉપરાંત, તે સમયાંતરે વધુ આધુનિક અને સ્વદેશી તકનીકોથી સજ્જ થશે. IAF પહેલાથી જ ચાર LCH હેલિકોપ્ટર સ્વીકારી ચૂક્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે IAF નજીકના ભવિષ્યમાં વધુ LCH ખરીદવાની યોજના ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે આ હેલિકોપ્ટરનું સમુદ્ર, રણ અને સિયાચીન જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે.